શક્તિસિંહે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી શૈલેષ પરમારને જવાબદારી
(એજન્સી)અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં આજે એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી અને જણાવ્યું કે, પ્રદેશ પ્રમુખ તરીકે મારી આ છેલ્લી પ્રેસ કોન્ફરન્સ છે.
તેમણે કડી અને વિસાવદર પેટાચૂંટણીના પરિણામોને આઘાતજનક ગણાવ્યા હતા અને પોતાના નેતૃત્વ હેઠળ અપેક્ષિત પરિણામો ન આવતા હોવાની જવાબદારી સ્વીકારીને આ પગલું ભર્યું છે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં સંગઠન સુધારણા કાર્યક્રમની શરૂઆત ગુજરાતથી થઈ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જિલ્લા કક્ષાએ કાર્યકરોનો અવાજ સાંભળીને જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવી રહી છે, અને જિલ્લા તથા શહેર પ્રમુખની નવી નિમણૂકથી કોંગ્રેસને નવું બળ મળ્યું છે. તેમણે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ યોગ્ય અને સક્ષમ ઉમેદવારો હોવાનું જણાવ્યું.
ગોહિલે પોતાના રાજીનામા પાછળનું કારણ સ્પષ્ટ કરતા કહ્યું કે, મારા નેતૃત્વમાં પરિણામ ન આવી શક્્યું, તેથી હું રાજીનામું આપું છું. તેમણે કોંગ્રેસના કાર્યકરોની પ્રશંસા કરતા કહ્યું કે, અમારા કાર્યકરો ૩૦ વર્ષ સુધી સત્તામાં ન હોવા છતાં લડ્યા છે. આ દર્શાવે છે કે તેઓ સંગઠનની નિષ્ઠાને સન્માન આપે છે, પરંતુ વ્યક્તિગત રીતે નૈતિક જવાબદારી સ્વીકારી રહ્યા છે.
શક્તિસિંહ ગોહિલે રાષ્ટ્રીય અધ્યક્ષને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. જ્યાં સુધી નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી તેમણે આ જવાબદારી શૈલેષ પરમારને સોંપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસમાં સંગઠન બદલાવની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને આ રાજીનામું તે દિશામાં એક મોટું પગલું છે. હવે કોંગ્રેસ હાઈકમાન્ડ કોને ગુજરાતની કમાન સોંપે છે, તે જોવું રસપ્રદ રહેશે. આ નિર્ણય ગુજરાત કોંગ્રેસ માટે એક નવા અધ્યાયની શરૂઆત સમાન છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ, શક્તિસિંહ ગોહિલે આજે સ્પષ્ટતા કરી કે તેમનું આ પગલું વ્યક્તિગત જવાબદારી સ્વીકારવાનું પરિણામ છે, અને તેઓ કોઈને મનાવવામાં આવે તેવી પરિસ્થિતિ ઊભી કરવા માંગતા નહોતા. તેમણે જણાવ્યું કે, હું નહોતો ઈચ્છતો કે રાજીનામું આપું અને મને મનાવવામાં આવે. મેં મારી જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસમાં મોરલ રિસ્પોન્સિબિલિટી (નૈતિક જવાબદારી) ની પરંપરા રહી છે.