ઘસાયેલા ટાયરો વડે પ્લેન ટેકઓફ-લેન્ડ કરાવતી એરલાઇન ઝડપાઈ

પ્રતિકાત્મક
DGCAની તપાસમાં ખુલાસો
૧૨મી જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ વિવિધ એરલાઇન્સના ઓડિટમાં આ ખામીઓ સામે આવી છે
નવી દિલ્હી,દિલ્હી, મુંબઇ સહિતના દેશના એરપોર્ટ પર એવિએશન રેગ્યુલેટર ડીજીસીએ દ્વારા સુરક્ષાને લઇને સઘન તપાસ કરતી ઓડિટ હાથ ધરવામાં આવી હતી, આ ઓડિટમાં ઘણા જ ચોંકાવનારા ખુલાસા થયા છે. એક એરલાઇન મુસાફરોનો જીવ જોખમમાં મુકીને ઘસાયેલા ટાયરો સાથે ફ્લાઇટનું ટેક ઓફ કરાવી રહી હતી, જેને તાત્કાલિક રોકવામાં આવી હતી. આ સિવાય પણ અનેક ખામીઓ સામે આવી છે.
૧૨મી જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ વિવિધ એરલાઇન્સના ઓડિટમાં આ ખામીઓ સામે આવી છે. ડીજીસીએએ કહ્યું હતું કે અમદાવાદની ઘટના બાદ ૧૯મી જૂનના રોજ દેશના તમામ એરપોર્ટ, એરલાઇન્સ અને એવિએશન સેક્ટર સાથે જોડાયેલ તમામ સેવાઓની સ્પેશિયલ સેફ્ટી ઓડિટ કરવાના આદેશ આપ્યા હતા. જે બાદ દિલ્હી અને મુંબઇ સહિત અનેક એરપોર્ટ પર સવારે અને સાંજે તપાસ કરાઇ હતી.
જેમાં આ ખામીઓ ઝડપાઇ છે. એરલાઇન્સ, એરપોર્ટના નામ જાહેર કર્યા વગર ડીજીએએએ કહ્યું હતું કે તમામ પ્રકારની તપાસ કરાઇ હતી, કેટલાક એરપોર્ટ પર સામાન લઇ જવા માટેની ટ્રેલીઓ ઉપયોગ ના થઇ શકે તેવી હાલતમાં હતી, કેટલાક સોફ્ટવેર એરક્રાફ્ટના વર્ઝન મુજબ અપડેટ નહોતા કરાયા. એક એરલાઇન્સ ઘસાયેલા ટાયરોનો ઉપયોગ કરતી ઝડપાઇ હતી.
જ્યારે મુસાફરોની સેફ્ટી માટેનું સુરક્ષા જેકેટ સીટોની નીચે યોગ્ય રીતે ફિટ નહોતુ કરાયું. એરક્રાફ્ટના વિંગલેટ પર બ્લેડને કાટથી બચાવવા માટે ઉપયોગી ટેપ ખરાબ નીકળી હતી. આવી અનેક ખામીઓ સામે આવ્યા બાદ ડીજીસીએએ એક રિપોર્ટ તૈયાર કર્યાે છે. જે મુજબ જવાબદાર એરલાઇન્સ સામે કાર્યવાહી થઇ શકે છે.ss1