Ahmedabad મ્યુનિ. સોલિડ વેસ્ટ વિભાગની જાગૃતતાના કારણે રથયાત્રા રૂટ પર માત્ર 32 મે. ટન કચરો ઉત્પન્ન થયો

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રાના ૨૨ કિ.મી. લાંબા રૂટનાં રસ્તાઓ પર સ્વચ્છતા જાળવામાં નાગરીકોની ભાગીદારીનાં લીધે સફાઈ અને સેનીટેશનની કામગીરીમાં ફક્ત 32 મેટ્રીક ટન કચરો જ ઉત્પન્ન થયો હતો.
જમાલપુર ખાતેથી નીકળેલ આ રથયાત્રામાં હાજર રહેલ નાગરિકોનાં મોટો વિશાળ જનસમૂહનાં કારણે વધુ માત્રામાં કચરાની ઉત્પન્ન થવાની શકયતાને ધ્યાને રાખી આદર્શ સફાઈની કામગીરી માટે સોલિડ વેસ્ટ મેનેજમેંટ વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું..
મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ડાયરેક્ટર વિજય મિસ્ત્રી ના જણાવ્યા મુજબ રથયાત્રા જે વિસ્તારમાંથી પસાર થાય ત્યાં આદર્શ સફાઈની જાળવણી માટે ત્યાંથી તાત્કાલિક ધોરણે સફાઈ કામદારો દ્વારા સફાઈ તેમજ અલાયદી લીટર પીકિંગની ટીમો મારફતે પણ સફાઈ કરાવવામાં આવી હતી.
આ રીતે એકઠો થયેલ કચરા પૈકીનાં નિરર્માલ્ય/ફૂલો/પ્લાસ્ટિક તથા અન્ય કચરાને પ્રોસેસીંગ પ્લાન્ટ ઉપર સેગ્રીગેટ કરવામાં આવશે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગની ટીમ ઘ્વારા કિચન વેસ્ટ 17.50 મે. ટન, પૂજાપા નિર્માલ્ય વેસ્ટ 4 મે. ટન, પ્લાસ્ટીક બોટલ 1.5, સૂકો કચરો 5 મે.ટન અને ભીનો કચરો મે. ટન મળી કુલ 32 મે. ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
વધુમાં, રથયાત્રામાં ઉપસ્થિત નાગરીકોનાં આરોગ્યની સુખાકારીને ધ્યાને રાખી કાફલામાં આવેલ 101 ટ્રકોમાં કચરો એકત્ર કરવા સારું થેલીઓ વિતરણ કરવામાં આવી હતી તેમજ થોડા થોડા અંતરે કચરો એકત્ર કરવા સારું સફાઈ કામદારો રાખવામાં આવ્યા હતા. જેની સાથે 38 જેટલાં ડોર ટુ ડોર વાહનો, 08 કોમ્પેક્ટર વાહનો-મશીનો કામગીરીમાં મૂકવામાં આવેલ અને 04 સ્વીપર મશીનો દ્વારા મિકેનાઇઝડ સફાઈની વ્યવસ્થા પણ કરી હતી.
આ ઉપરાંત 10 ન્યૂસન્સ ટેંકરો મારફતે રૂટમાં આવતા 30 જેટલાં જાહેર શૌચાલયોની સફાઈ પણ રાઉન્ડ ધી ક્લોક કરવામાં આવી હતી. વધુમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનાં ૨૨ કિ.મી. લાંબા રૂટનાં રસ્તાઑની આદર્શ સફાઈની આ કામગીરી ત્રણેય રથ નિજ મંદિરે પરત ફર્યા બાદ મોડી રાત્રિ સુધી કરવામાં આવી હતી.