અવકાશયાનને ૪૩૩ વર્ષ પરમાણુ બળતણ પુરૂ પાડે તેવી ન્યુક્લિયર બેટરીનું નાસાએ પરીક્ષણ કર્યું

બોસ્ટન, નાસાના ગ્લેન રિસર્ચ સેન્ટર અને યુકેની લેસ્ટર યુનિવર્સિટી દ્વારા અમેરિસિયમ ૨૪૧ નામના આઇસોટોપને પરમાણુ બળતણ તરીકે વાપરવાનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.
આ બળતણને નવી ટેકનોલોજી ધરાવતાં સ્ટ‹લગ એન્જિનમાં વાપરવાના અખતરાંઓ કરવામાં આવી રહ્યા છે. જો આ ટેકનોલોજી સફળ થશે તો નાસાના વિજ્ઞાનીઓ અવકાશમાં લાંબા અંતરે જતાં અવકાશયાનોમાં ન્યુક્લિયર બેટરીઝ બેસાડી તેને ૪૩૩ વર્ષ સુધી કાર્યરત રાખી શકશે. પૃથ્વી પરથી અંતરિક્ષમાં દૂર સુધી જતાં સ્પેસક્રાફ્ટ્સને ચલાવવા સૌર ઉર્જા ઉપરાંત અન્ય બળતણના સ્રોતની જરૂર પડે છે.
આપણાં સૂર્ય મંડળની બહાર આવા યાન જાય ત્યારે સૌર ઉર્જા મળતી બંધ થઇ જાય છે. આ સંજોગોમાં અંતરિક્ષયાનને આગળ ધપાવવા અન્ય બળતણ વાપરવાની જરૂર પડે છે. આ પ્રકારના અંતરિક્ષયાનોમાં રેડિયો આઇસોટોપ થર્માેઇલેકટ્રિક જનરેટર્સ-આરટીજી- અવકાશયાનને બળતણ પુરૂ પાડવામાં મહત્વની ટેકનોલોજી પુરવાર થઇ છે.
જેને સામાન્ય ભાષામાં ન્યુક્લિયર બેટરીઝ એટલે કે પરમાણુ બેટરી તરીકે ઓળખવામાં આવે છે. આ ન્યુક્લિયર બેટરીઝ આઇસોટોપનું રેડિયોએક્ટિવ ગલન થાય તેમાંથી વિદ્યુત શક્તિ મેળવે છે. હાલ પ્રાઇમરી આઇસોટોપ પ્લુટોનિયમ ૨૩૮ વપરાય છે જેનું આયુષ્ય ૮૮ વર્ષનું હોય છે.પણ હવે નવું આઇસોટોપ અમેરિસિયમ-૨૪૧ આવ્યું છે જે પ્લુટોનિયમ કરતાં ચારગણી વધારે શક્તિ પુરી પાડે છે.
સ્પેસમાં ઝીરો ગ્રેવિટી વાતાવરણમાં દૂર સુધી જતાં મિશનમાં મુક્ત પિસ્ટનની ડિઝાઇન ધરાવતાં સ્ટ‹લગ એન્જિન સફળ પુરવાર થયા છે. આ એન્જિનમાં આ આઇસોટોપ અમેરિસિયમ -૨૪૧ને એડવાન્સ કન્વર્ઝન સિસ્ટમમાં સાંકળી લેવાના પ્રયોગો ચાલી રહ્યા છે.
જો કે, આ ટેકનોલોજીના પડકારો પણ મોટાં છે. નાસાના સુરક્ષા માપદંડો અનુસાર તે ખરૂ ઉતરવું જોઇએ. વધુમાં તેની ગરમીને વીજળીમાં ફેરવવાની પ્રક્રિયા વિશ્વસનીય અને લાંબો સમય ચાલે તેવી હોવી જોઇએ.
આ બધી કસોટીઓમાંથી પાર ઉતરે તો જ આ ટેકનોલોજીનો ઉપયોગ હાથ ધરી શકાશે.આ ટેકનોલોજી સફળ પુરવાર થાય તો બ્રહ્માંડમાં લાંબા અંતરે જતાં મિશનોના ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવશે.
જેને કારણે માણસજાતની બ્રહ્માંડ વિશેની સમજ પણ વિસ્તરતી જશે. લાંબા સમય સુધી ચાલે તેવા પરમાણુ બળતણથી સજ્જ આ મિશનો દૂરના અવકાશી પિંડો નજીક જઇ તેનો અભ્યાસ કરી શકશે, જે હાલ શક્ય બની શકતો નથી.SS1MS