એસઆઈઆરનું ફોર્મ ભર્યા બાદ સન્યાસી પૂજારીને પરિવારની યાદ આવતાં જીવન ટૂંકાવ્યું
રાજકોટ, રાજકોટના ત્રંબા ગામે આવેલા હનુમાનજી મંદિરના પૂજારીએ ગત સાંજે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. છેલ્લા ૨૫ વર્ષથી સંસાર ત્યજીને ભક્તિના માર્ગે વળેલા પૂજારીએ મતદાર યાદીની કામગીરી દરમિયાન પરિવારજનોની યાદ આવતા માનસિક તણાવમાં આવી આ અંતિમ પગલું ભર્યું હતું.
પોલીસે ઘટનાસ્થળેથી એક સ્યુસાઈડ નોટ પણ કબજે કરી છે, જેમાં તેમણે પોતાની આ વેદના વ્યક્ત કરી છે.મૂળ હરિયાણાના વતની ૫૫ વર્ષીય ઉદયરામ શિવરામદાસ વૈષ્ણવ ત્રંબામાં જૂના પાદર હનુમાનજી મંદિરે રહીને વર્ષાેથી સેવા-પૂજા કરતા હતા. ગત સાંજે જ્યારે એક સેવક મંદિરે દર્શન કરવા આવ્યા ત્યારે પૂજારી ક્યાંય દેખાયા નહોતા. પૂજારીના રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી ટ્રસ્ટીઓ અને ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી.
દરવાજો તોડીને જોતા પૂજારી પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. પૂજારી પાસેથી મળી આવેલી ચિઠ્ઠીમાં તેમણે લખ્યુ હતુ કે તાજેતરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણાની કામગીરી અંતર્ગત ફોર્મમાં પરિવારજનોના પૂરા નામ અને વિગતો માંગવામાં આવી હતી. પ્રક્રિયા દરમિયાન અચાનક પોતાના સ્વજનોની યાદ આવી ગઈ હતી અને તેઓ ભારે ઉદાસ થઈ ગયા હતા.
મંદિરના ટ્રસ્ટીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, ઉદયરામ વર્ષાેથી અહીં જ રહેતા હતા અને શાંત સ્વભાવના હતા. સ્યુસાઈડ નોટમાં તેમણે ઉલ્લેખ કર્યાે છે કે ગામના લોકોએ તેમને ખૂબ મદદ કરી છે અને તેમને કોઈની સામે રાગ-દ્વેષ નથી, પરંતુ ફોર્મ ભરતી વખતે પરિવારની યાદ આવતા તેઓ દુઃખી થઈ ગયા હતા.SS1MS
