Western Times News

Gujarati News

મહંત સ્વામી મહારાજના હસ્તે ૨૯ ઉચ્ચ શિક્ષિત નવયુવાનોએ ગ્રહણ કરી પાર્ષદી દીક્ષા

MBA, એન્જિનિયર અને સાયન્સ ગ્રેજ્યુએટ સહિત ૨૯ તેજસ્વી યુવાનોએ સંસાર છોડ્યો: સારંગપુરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ

જેમાં ૧ MBA, ૩ માસ્ટર્સ ડિગ્રી ધારક, ૫ એન્જિનિયર્સ, ૯ ગ્રેજ્યુએટ્સ, ૪ ડિપ્લોમા એન્જિનિયર્સ અને ૧ વકીલ (Lawyer) નો સમાવેશ

સારંગપુર: તા. ૨ માર્ચ ૨૦૨૬ તીર્થધામ સારંગપુર ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં આજે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. જેમાં ૨૯ જેટલા સુશિક્ષિત યુવાનોએ સંસારનો ત્યાગ કરી સેવા અને અધ્યાત્મના માર્ગે પ્રયાણ કર્યું હતું.

દીક્ષા ગ્રહણ કરનાર આ ૨૯ નવયુવાનો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. જેમાં ૧ MBA, ૩ માસ્ટર્સ ડિગ્રી ધારક, ૫ એન્જિનિયર્સ, ૯ ગ્રેજ્યુએટ્સ, ૪ ડિપ્લોમા એન્જિનિયર્સ અને ૧ વકીલ (Lawyer) નો સમાવેશ થાય છે. કારકિર્દીના ઉચ્ચ શિખરે અને ભૌતિક સુખ-સગવડો ઉપલબ્ધ હોવા છતાં, માનવસેવા, સમાજ ઉન્નતિ અને આધ્યાત્મિક જીવન માટે આ યુવાનોએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરવાનો વિરલ સંકલ્પ કર્યો છે.

મહોત્સવનો પ્રારંભ વહેલી સવારે ૬ વાગ્યે વૈદિક મહાપૂજાથી થયો હતો. ત્યારબાદ પ.પૂ. મહંત સ્વામી મહારાજે તમામ મુમુક્ષુઓને યજ્ઞોપવીત ધારણ કરાવી હતી અને વરિષ્ઠ સદગુરુ સંતોએ નવદીક્ષિત પાર્ષદોને કંઠી, માળા, પાઘ અને ઉપવસ્ત્ર ધારણ કરાવ્યા હતા. અંતમાં ગુરુહરિએ દરેકને ગુરુમંત્ર આપી આશીર્વાદ પાઠવ્યા હતા.

દીક્ષા મહોત્સવમાં દીક્ષાર્થીઓના માતા-પિતાના સમર્પણને પણ વિશેષરૂપે બિરદાવવામાં આવ્યું હતું. સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા પિતાશ્રીઓનું અને મહિલા અગ્રણીઓ દ્વારા માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

દીક્ષા બાદ આ નવયુવાનો હવે સારંગપુર સ્થિત ‘બી.એ.પી.એસ. સંત પ્રશિક્ષણ કેન્દ્ર’માં સનાતન ધર્મના શાસ્ત્રો, સંસ્કૃત અને મેનેજમેન્ટ જેવા વિષયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે. આ સંતો ચારિત્ર્યવાન, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક રીતે જાગૃત એવા સમાજના નિર્માણમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપશે.

ભારતીય સંસ્કૃતિની ત્યાગ-પરંપરાને જીવંત રાખતો આ મહોત્સવ હજારો હરિભક્તો માટે પ્રેરણારૂપ બની રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.