સિલિન્ડરનું પેનિક બુકિંગ ના કરો: કેન્દ્રની અપીલ ગેસનો પુરવઠો બીજા રૂટથી ભારત પહોંચી રહ્યો છે
પ્રતિકાત્મક
(એજન્સી)નવી દિલ્હી, ઈરાન યુદ્ધ વચ્ચે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલ અને ગેસની અછત સર્જાઈ છે, ત્યારે ઓઇલ અને નેચરલ ગેસ મંત્રાલયે દેશની ઊર્જા સુરક્ષા અને ઘરેલુ ગેસ પુરવઠાની સ્થિતિ પર મહત્ત્વની માહિતી આપી છે. મંત્રાલયે લોકોને પેનિક બુકિંગ નહીં કરવાની અપીલ કરી છે.
કેન્દ્ર સરકારે કહ્યું છે કે, ઓઇલ-ગેસનો ૭૦% પુરવઠો, હોર્મુઝ સ્ટ્રેટ સિવાયના, બીજા એક રૂટથી ભારત પહોંચી ગયો છે. ક્રૂડ અને ગેસના તમામ કાર્ગો ભારત તરફ સુરક્ષિત રીતે પહોંચી રહ્યા છે.
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં કાચા તેલ અને એલપીજીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અછતની અફવાઓને મંત્રાલયે નકારી કાઢી છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશની ઊર્જા સુરક્ષા મજબૂત છે અને નાગરિકોએ ગભરાઈને વધારાનું બુકિંગ કરવાની કોઈ જરૂર નથી.
મંત્રાલયે માહિતી આપી છે કે સ્થાનિક રિફાઇનરીઓમાં ઉત્પાદન પ્રક્રિયા સામાન્ય રીતે ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ હોવા છતાં, ભારતે વિવિધ સ્ત્રોતો દ્વારા તેલનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે જેથી ઈંધણના વિતરણમાં કોઈ અવરોધ ન આવે. રસોઈ ગેસના સંદર્ભમાં સરકારે ખાતરી આપી છે કે એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે.
વિતરણ નેટવર્ક સક્રિય છે અને ગ્રાહકોને તેમના નિયમિત સમયપત્રક મુજબ સિલિન્ડર મળતા રહેશે. બજારમાં પુરવઠાની કોઈ કમી નથી, તેથી લોકોએ સંગ્રહખોરી ન કરવી જોઈએ. દેશના વિવિધ રાજ્યોમાં એલપીજી સિલિન્ડરને લઈને વ્હેલી સવારથીજ વિવિધ કેન્દ્રો ઉપર ગ્રાહકોની લાંબી લાઈનો લાગી હતી.
