Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવેનો બિન-ભાડા આવક બમણી કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય

પ્રતિકાત્મક

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ભારતીય રેલવેના બિન-ભાડા આવક (NFR) વધારવાના સૂચનોને અનુસરીને, પશ્ચિમ રેલવેએ બિન-ભાડા સ્ત્રોતોમાંથી પોતાની આવકમાં નોંધપાત્ર વધારો કરવાનો એક મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યો છે.

અમદાવાદ, પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનિત અભિષેક દ્વારા જાહેર કરાયેલ પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ, પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક શ્રી તરુણ જૈને બિન-ભાડા આવક વધારવાની વ્યૂહરચનાઓ અંગે ચર્ચા કરવા પશ્ચિમ રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકો સાથે ઉચ્ચ સ્તરીય વિચાર-વિમર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી.
બેઠક દરમિયાન શ્રી તરુણ જૈને જણાવ્યું કે, “અમારો ઉદ્દેશ મુસાફરોને મૂલ્યવર્ધિત સેવાઓ પ્રદાન કરવાનો છે. અમારા ડિજિટલ લાઉંજ અને મિની મોલની સફળતા સ્પષ્ટ રીતે દર્શાવે છે કે મુસાફરો હવે આધુનિક, ટેક્નોલોજી આધારિત તેમજ ગુણવત્તાસભર સેવાઓ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. બિન-ભાડા આવકને બમણી કરીને અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે પશ્ચિમ રેલવે પોતાની વાણિજ્યિક સંપત્તિઓની આવક ક્ષમતાને નવા દ્રષ્ટિકોણથી જુએ.”
ચાલુ નાણાકીય વર્ષમાં ફેબ્રુઆરી 2026 સુધી પશ્ચિમ રેલવેએ બિન-ભાડા આવક તરીકે ₹117 કરોડ પ્રાપ્ત કર્યા છે, જેના કારણે પશ્ચિમ રેલવે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઝોનોમાં સામેલ થયું છે. ભારતીય રેલવેની બિન-ભાડા આવકને ₹750 કરોડથી વધારી ₹1,500 કરોડ કરવા માટેના રાષ્ટ્રીય નિર્દેશોને અનુરૂપ, પશ્ચિમ રેલવેએ નાણાકીય વર્ષ 2026–27 માટે ₹239.24 કરોડનું લક્ષ્ય નક્કી કર્યું છે.
શ્રી તરુણ જૈને જણાવ્યું કે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મુંબઈ સેન્ટ્રલ ખાતે આવેલ ડિજિટલ લાઉંજ, રતલામ સ્ટેશન પરનો મિની મોલ તેમજ અમદાવાદ ખાતે એસી સાથેનો ડિજિટલ લાઉંજ જેવા સફળ અને નવોત્તર પહેલોને પુનરાવર્તિત કરવાની જરૂર પડશે, જેને સરાહના મળી ચુકી છે. આ પહેલ મુસાફરોની સુવિધા અને આરામને મહત્તમ બનાવવા માટે કરવામાં આવી છે.
તેમણે આગળ ઉમેર્યું કે સમયની માંગ મુજબ પરંપરાગત જાહેરાતોની સીમા બહાર જઈ નવીન અભિગમ અપનાવવો જરૂરી છે. બેઠક દરમિયાન કેટલીક નવી પહેલ અંગે પણ ચર્ચા કરવામાં આવી, જેમાં પશ્ચિમ રેલવે પર યોગ્ય સ્થળોની ઓળખ કરીને બ્રાન્ડેડ કિયોસ્ક અને એક્સપિરિયન્સ ઝોન સંપત્તિઓનું મુદ્રીકરણ, વધુ મુસાફરોના આવાગમન ધરાવતા સ્ટેશનો પર ડિજિટલ આઉટ-ઓફ-હોમ (DOOH) જાહેરાતનો વિસ્તરણ તથા રેલવે સ્ટેશનોને સજીવ વાણિજ્યિક કેન્દ્રો તરીકે વિકસિત કરવાનો સમાવેશ થાય છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.