Western Times News

Gujarati News

સરકારની ખાતરી છતાં દેશભરમાં રાંધણગેસનો કકળાટ યથાવત

Files Photo

નવી દિલ્હી, દેશમાં રાંધણ ગેસ (એલપીજી)ની કોઇ અછત ન હોવાનું સરકારે ભારપૂર્વક જણાવ્યું હોવા છતાં શુક્રવારે પણ દેશભરમાં લોકોમાં ગભરાટનો માહોલ ચાલુ રહ્યો છે.

ગેસ સિલિન્ડર મેળવવા માટે ઠેર ઠેર લાંબી કતારો જોવા મળી હતી. ઘણા હોટેલ-રેસ્ટોરન્ટ બંધ કરવાની નોબત આવી છે તથા સંગ્રહખોરી અને કાળા બજારના અહેવાલ આવ્યાં હતાં. ઘણા હોટેલ, રેસ્ટોરન્ટ માલિકો બિઝનેસ બંધ થતા આર્થિક મુશ્કેલીમાં ફસાયા છે.શુક્રવારે પણ સરકારે સ્પષ્ટતા કરી હતી કે ઘરોમાં એલજીપીનો સપ્લાય અવિરતપણે ચાલુ છે અને સિલિન્ડર માટે પેનિક બુકિંગ કરાવવાની કોઇ જરૂર નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે ૫ માર્ચથી એલપીજીના ઘરેલુ ઉત્પાદનમાં ૩૦ ટકા વધારો થયો છે.

લોકોને ગભરાઈને સિલિન્ડર બુક કરવાની જરૂર નથી. કોઇ પણ એલપીજી ડીલર પાસે સ્ટોક ખુટી ગયો નથી. યુદ્ધ પહેલા સરેરાશ ધોરણે ૫૫.૭ લાખ એલપીજી બુકિંગ થતું હતું, જે ઉછળીને હવે ૭૫.૭ લાખ થયું છે.

સિલિન્ડરની કોઇ અછત ન હોવાનો જિલ્લા વહીવટીતંત્રોએ દાવો કર્યાે હોવા છતાં સમગ્ર બિહારમાં એલપીજી ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરોની બહાર લાંબી કતારો જોવા મળી હતી. પટના, ભાગલપુર, રોહતાસ, કટિહાર અને અન્ય જિલ્લાઓમાં વિતરણ એજન્સીઓની બહાર લાંબી કતાર જોવા મળી હતી. દિલ્હીમાં ગેસની તંગીથી નાના વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં સપડાયા છે.

આદર્શ નગરના એક ફૂડ વેન્ડરે નાના સિલિન્ડર રૂ.૪,૦૦૦ ચુકવ્યા હોવાનો પણ દાવો કર્યાે હતો. મધ્યપ્રદેશ હોટેલ એસોસિએશનએ ખાણીપીણીના વેપારીઓને તેમના બિઝનેસ ચાલુ રાખવા માટે ગેસથી રાંધેલા રોટલીઓને છોડીને પરંપરાગત લાકડાથી બનેલ તંદૂર અને “કટોકટી મેનુ” બનાવવાની સલાહ આપી હતી.

એસોસિયેશનને ગેસનો ઓછો ઉપયોગ થતો હોય તેવી વાનગી બનાવવાની એડવાઈઝરી પણ આપી હતી.કેરળ હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનએ જણાવ્યું હતું કે રાજ્યમાં લગભગ ૪૦% રેસ્ટોરન્ટ બંધ થવાના આરે છે. ગુરુવાર સુધીમાં ૨૦% રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે અને શુક્રવાર સુધી આ સંખ્યા ૪૦ ટકા થશે.કોલકાતાની સુપર-સ્પેશિયાલિટી દેસુન હોસ્પિટલે મેનુમાં ફેરફાર કર્યા હતાં.

મેનુને અસ્થાયી રૂપે શાકાહારી અને ઇંડા આધારિત બનાવ્યું છે કારણ કે માંસાહારી વાનગીઓમાં સામાન્ય રીતે વધુ ગેસ વપરાય છે.દેશના બીજા રાજ્યોમાં પણ ગેસના ખાલી સિલિન્ડરો સાથે ઊભેલા લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી. લોકો દાવો કરી રહ્યાં છે કે ઓનલાઇન બુકિંગ થતું નથી. ઓડિશાના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો અને રસ્તા રોકો આંદોલન પણ થયાં હતાં.

રાજ્યના જાજપુર શહેરમાં સ્થાનિક વિતરકે તેની ઓફિસ બંધ કરી દીધા બાદ રહેવાસીઓએ ખાલી એલપીજી સિલિન્ડર મૂકીને રસ્તો બ્લોક કરી દીધો હતો.દિલ્હી શીખ ગુરુદ્વારા સમિતિએ લંગર’ સેવા માટે એલપીજી સિલિન્ડરોનો પુરવઠો સુનિશ્ચિત કરવા પેટ્રોલિયમ પ્રધાનની મદદ માગી હતી. રાજસ્થાનના કોચિંગ હબ ગણાતા કોટામાં ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરોની અછતને કારણે ગભરાટ ફેલાયો હતો.

એલપીજી કટોકટીના મુદ્દા પર વિપક્ષી સાંસદોએ સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી જવાબ માંગતા સૂત્રોચ્ચાર કર્યા હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.