ફેમિલી કોર્ટમાં વકીલો, જજોએ કાળા કોટ ન પહેરવા જોઈએ: CJI
નવી દિલ્હી, બાળકોના મનમાંથી કાયદા-પોલીસ પ્રત્યેનો મનોવૈજ્ઞાનિક ડર દૂર કરવા ફેમિલી કોર્ટને સૂચન કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે નોંધ્યું હતું કે, આ માટે કોર્ટની પરંપરાગત કામગીરીમાં કેટલાક ફેરફારો કરવા જોઈએ.
દિલ્હીના રોહિણીમાં ફેમિલી કોર્ટના શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં ચીફ જસ્ટિસે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શું ફેમિલી કોર્ટમાં કાળા કોટ હોવા જોઈએ? જ્યારે આપણે ફેમિલી કોર્ટ માટે એક નવી વિચારધારા અને કલ્પના કરી રહ્યા છીએ, ત્યારે શું વર્તમાન વ્યવસ્થા બાળકના મનમાં મનોવૈજ્ઞાનિક ડર પેદા નહીં કરે?ચીફ જસ્ટિસે સૂચન કર્યું કે, ફેમિલી કોર્ટના જજ અને વકીલોએ યુનિફોર્મમાં ન આવવું જોઈએ. ફેમિલી કોર્ટમાં પીઠાસીન અધિકારીઓ કોર્ટના ડ્રેસમાં નહીં બેસે.
બારના સભ્યો પણ કાળા અને સફેદ કોટમાં નહીં આવે. પોલીસ અધિકારીઓ પણ વર્દીમાં નહીં આવે, કારણ કે આ આખું વાતાવરણ બાળકોના મનમાં ડર પેદા કરે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ કોઈ પણ વ્યવસ્થાના સૌથી મોટા ભોગ બનતા હોય છે. દરેક વ્યક્તિ કોર્ટમાં આવવા ઈચ્છતી નથી. ફેમિલી કોર્ટનો હેતુ માનવીય સંબંધો સુધારવા, તેના પર વિચાર કરવો અને તેને યોગ્ય કરવાનો છે. શું આપણે તેને ‘પારિવારિક સમાધાન કેન્દ્ર’ ન કહી શકીએ?SS1MS
