Western Times News

Gujarati News

પેટ્રોલ, પીએનજી-સીએનજી પર વેરા થકી બે વર્ષમાં ૪૧,૫૯૩ કરોડની સરકારને કમાણી થઈ

ગાંધીનગર, રાજ્યના નાગરિકો પેટ્રોલ-ડીઝલ અને પીએનજી-સીએનજી ઉપર ભારે વેરા ભરી રહી છે તેના કારણે ગુજરાત સરકારની તિજોરીને માતબર ફાયદો થઇ રહ્યો છે.

છેલ્લા બે વર્ષમાં આ ઇંધણ પરની વેરા વસૂલાતના કારણે સરકારને જાન્યુઆરી-૨૦૨૬ની સ્થિતિએ કુલ ૪૧,૫૯૩ કરોડની જંગી આવક થવા પામી હોવાની માહિતી વિધાનસભામાં અપાઇ હતી.

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ, સીએનજી અને પીએનજી ઉપર વસૂલાતા વેરા કરવામાં અને તેની ઉપર લેવાતા સેસ સાથે આવકની જાણકારી માગતો સવાલ પૂછાયો હતો. જેનો લેખિત જવાબ આપતા નાણા વિભાગે જણાવ્યું હતું કે પેટ્રોલ પર ૧૩.૭ ટકા વેટ અને ૪ ટકા સેસ, ડીઝલ પ૨ ૧૪.૯ ટકા વેટ અને ૪ ટકા સેસ, સીએનજીમાં રીટેલ અને સ્પેસીફાઇડ ડીલર માટે ૧૫ ટકા વેટ (૧૦ ટકા રેમીશન, અસરકારક દર ૫ ટકા) વસૂલાય છે.

સીએનજી, પીએનજીમાં હોલસેલર માટે ૧૫ ટકા વેટ ઉઘરાવવામાં આવે છે. પીએનજી નોન કોમર્શિયલમાં ૧૫ ટકા વેટ (૧૦ ટકા રેમીશન, અસરકારક દર ૫ ટકા) વસૂલાય છે.

જો કે હાલ ખાડી યુધ્ધના કારણે ઔદ્યોગિક એકમોમાં ગેસના વપરાશ ઉપર મોટો કાપ મૂકવામાં આવ્યો છે. ગેસની તંગી જારી છે અને તે વધુ સમય ચાલે તો તેના કારણે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થવાની શક્યતા છે.ગુજરાતમાં એકતરફ મહાનગરોમાં ટેક્ષ ભરવાનો બાકી હોય તો સીલ લગાવી દેવામાં આવે છે તો બીજી તરફ અનેક એકમો પાસેથી રાજ્યમાં એક કરોડ રૂપિયાથી વધુ રકમનો વેચાણવેરો વર્ષાેથી વસૂલ કરવાનો બાકી છે.

કોંગ્રેસ દ્વારા પૂછાયેલા એક સવાલના લેખિત જવાબમાં નાણાં વિભાગે જણાવ્યું હતું કે એક કરોડથી વધુ રકમનો વેચાણ વેરો વસૂલવાનો બાકી હોય તેવા જાન્યુઆરી ૨૦૨૬ની સ્થિતિએ ૫૨૦ એકમો છે. અનેક ધંધાકીય અને વ્યાવસાયિક એકમો પાસેથી બેન્ક-મિલકત ટાંચ, રેવન્યુ રાહે વસૂલાત અને હરાજીની કાર્યવાહી તેમજ પોલીસ ફરિયાદ કરવા સુધીના પગલાં વેરો વસૂલવા માટે લેવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.