માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાના 50 ગામોના 73 તળાવો પાણીથી છલકાશે
અરવલ્લી જિલ્લાના ગામડાઓમાં પાણીની સુવિધા વધુ સુદૃઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રૂ. 161.59 કરોડના ખર્ચે વાત્રક જળાશય આધારિત ઉદ્વાહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કર્યું.
આ યોજના દ્વારા માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાના 50 ગામોના 73 તળાવો પાણીથી છલકાશે, જે અંતરિયાળ વિસ્તારોના ખેડૂતો અને નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પાણીને વિકાસનો આધાર ગણાવ્યો છે અને તેમના જ વિઝનરી નેતૃત્વમાં છેવાડાના ગામ સુધી પાયાની સુવિધાઓ પહોંચી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યના આદિવાસી વિસ્તારોમાં રૂ. 3100 કરોડના ખર્ચે 11 જેટલી ઉદ્વાહન સિંચાઈ યોજનાઓ કાર્યરત કરી 708 ગામોની 2.23 લાખ હેક્ટર જમીનને નંદનવન બનાવવાનું ભગીરથ કાર્ય ગુજરાત સરકારે કર્યું છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં આદિવાસી સમુદાયનો ઉત્કર્ષ અને યોગદાન મહત્ત્વપૂર્ણ રહેશે તેવો વિશ્વાસ આ અવસર વ્યક્ત કર્યો.
