પેટ્રોલ, ડીઝલ બાદ હવે પાણીની બચત કરવા મોદીની અપીલ
File
મારી વિનંતી બાદ લોકોએ વિદેશ પ્રવાસ ટાળ્યો ઃ પીએમ
ખેડૂતોને રાસાયણિકના બદલે પ્રાકૃતિક ખેતી તરફ વળવા મન કી બાતમાં મોદીની સલાહ
નવી દિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ચર્ચિત રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ફરી એક વખત પેટ્રોલ અને સોના અંગે વાત કરી હતી. આ કાર્યક્રમના ૧૩૫માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધતા મોદીએ કહ્યું હતું કે હાલ પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ છે તેથી શક્ય હોય ત્યાં સુધી થોડા સમય માટે સોનાની ખરીદીથી બચવામાં આવે. મોદીએ લોકોને ચોમાસા પૂર્વે વરસાદી પાણીની બચત કરવા પણ કહ્યું છે.દેશવાસીઓને સંબોધતા મોદીએ લોકોને વિદેશ પ્રવાસ ટાળવા, કાર પૂલિંગને પ્રોસ્તાહન આપવા, પેટ્રોલ અને ડીઝલની બચવ કરવા તેમજ સોનાની ખરીદી નહીં કરવાની સલાહ આપી હતી.
જ્યારે ખેડૂતોને રાસાયણિક ખાતરોની જગ્યાએ દેશી ખાતર વાપરવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા કહ્યું હતું. અગાઉ પણ મોદીએ આ પ્રકારની અપીલ કરી હતી જેની અસર થઇ રહી છે અને લોકો તેનું પાલન કરી રહ્યા છે તેવો દાવો મોદીએ આ વખતે કર્યાે હતો.મોદીએ કહ્યું હતું કે કેટલાક નાગરિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે તેઓએ વિદેશ પ્રવાસને ટાળ્યો છે. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો પણ ઉપયોગ કરી રહ્યા છે જેનાથી ઇંધણની બચત થઇ રહી છે. મને એ વાતનો આનંદ છે કે હાલના આ વૈશ્વિક સંકટમાં આપણે ભારતીયો સાથે મળીને સામનો કરી રહ્યા છીએ.
મને વિશ્વાસ છે કે આ જ શક્તિ આપણને મજબૂત અને સફળ બનાવશે. અગાઉ મોદીએ પેટ્રોલ, ડીઝલની બચત કરવા કહ્યું હતું હવે પાણીનો બચાવ કરવાની પણ લોકોને અપીલ કરી છે. મોદીએ કહ્યું છે કે નાગરિકોએ વરસાદી પાણીનો બચાવ કરવો જોઇએ. ગણેશ ઉત્સવ પહેલા મોદીએ લોકોને પ્લાસ્ટર ઓફ પેરિસના સ્થાને માટીની મૂર્તી ખરીદવા અપીલ કરી હતી. આ મૂર્તીને એવી રીતે પધરાવવી કે જેથી પ્રદૂષણ ના થાય.SS1
