Western Times News

Gujarati News

વાડીમાં પૂજા કરવા ગયેલા વૃધ્ધ 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકતાં મોત

AI Image

રાજકોટ, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચરખડી ગામ નજીક એક કરુણ દુર્ઘટના સામે આવી છે. રાજકોટના મવડી વિસ્તારમાં રહેતા ૬૫ વર્ષીય કાબાભાઈ ઉમરેટિયાનું વાડીમાં આવેલા આશરે ૭૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબકતાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, કાબાભાઈ શિવભક્તિમાં આસ્થા ધરાવતા હતા અને ચરખડી ગામ નજીક આવેલી એક વાડીમાં પૂજા-પાઠ કરવા માટે ગયા હતા. પૂજા પૂર્ણ કર્યા બાદ તેઓ ધાર્મિક ભાવનામાં લીન થઈ આનંદ વ્યક્ત કરી રહ્યા હતા.

ત્યારબાદ તેઓ બાજુની વાડી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક તેમનો પગ લપસી ગયો હતો અને તેઓ સીધા વાડીમાં આવેલા ઊંડા કૂવામાં પડી ગયા હતા. કૂવામાં પાણી ભરેલું હોવાથી તેઓ બહાર આવી શક્યા નહોતા અને ડૂબી જવાથી તેમનું મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક એકત્ર થયા હતા અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ કૂવાના ઊંડા પાણીમાંથી કાબાભાઈનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં ભારે આઘાત ફેલાયો હતો. શાંત અને ધાર્મિક સ્વભાવ ધરાવતા કાબાભાઈના આકસ્મિક અવસાનથી તેમની પત્ની અને બે પુત્રો સહિત સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

આ મામલે ગોંડલ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાની સંપૂર્ણ હકીકત જાણવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. વાડી અને ખેતરોમાં આવેલા ખુલ્લા કૂવાઓ આસપાસ સુરક્ષાની વ્યવસ્થા રાખવી જરૂરી હોવાનું લોકો કહી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓ ટાળી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.