Western Times News

Gujarati News

દિલ્હીમાં પ્રાઈવેટ કારમાં યાત્રા કરનારને હવે માસ્કથી મુક્તિ

નવી દિલ્હી, દિલ્હી સરકારે સોમવારથી પ્રાઈવેટ કારમાં મુસાફરી કરતા લોકોને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપી દીધી છે. જાેકે, કેબ અથવા ટેક્સીમાં મુસાફરી કરનારાએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની આગેવાનીમાં શુક્રવારે યોજાયેલી બેઠકમાં માસ્કના નિયમમાં છૂટછાટ આપવા પર ચર્ચા થઈ હતી.

ત્યારબાદ સરકારે સોમવારે ઓર્ડર બહાર પાડ્યો હતો, અને સોમવારથી તેનો અમલ શરુ થઈ ગયો છે. ત્રીજી લહેરની અસર ઓસરતા કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો આવ્યા બાદ માસ્કના નિયમમાં ઢીલ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા દિલ્હી હાઈકોર્ટે કારમાં એકલા જતા વ્યક્તિએ પણ માસ્ક ફરજિયાત પહેરવું પડે તેવા નિયમને વાહિયાત ગણાવ્યો હતો.

ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થયો છે. રાજ્યના તમામ શહેરોમાંથી નાઈટ કરફ્યૂ ઉઠાવી લેવાયો છે, પરંતુ માસ્કના નિયમમાં હજુ સુધી કોઈ છૂટછાટ નથી અપાઈ. ગુજરાતમાં આજે પણ જાહેરમાં માસ્ક ના પહેરવા પર એક હજાર રુપિયાનો દંડ ભરવો પડે છે.

કારમાં કોઈ વ્યક્તિ એકલો જતો હોય તો પણ તેના માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. દિલ્હીમાં જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત છે, પરંતુ તેનો ભંગ કરવા બદલ હવે દંડની રકમ બે હજારથી ઘટાડી ૫૦૦ રુપિયા કરી દેવાઈ છે. સરકારે પોતાના ઓર્ડરમાં જણાવ્યું છે કે એક સાથે ટ્રાવેલ કરનારા સહકર્મીઓ, પરિવારજનો કે મિત્રો હોઈ શકે છે.

જેથી જાે આવા લોકો પ્રાઈવેટ ફોર-વ્હીલરમાં પ્રવાસ કરતા હોય તો તેમને માસ્ક પહેરવું જરુરી નથી. જાેકે, વાહનમાંથી બહાર આવતા જ માસ્ક પહેરવું પડશે. પરંતુ નિયમ અનુસાર, કેબચાલક અને પ્રવાસી બંનેએ માસ્ક પહેરવું ફરજિયાત છે.

સમગ્ર દેશમાં હાલ કોરોનાની ત્રીજી લહેર લગભગ સમાપ્ત થઈ રહી છે. એક સમયે હોટ સ્પોટ બનેલા મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત જેવા રાજ્યોમાં પણ હવે કેસોની સંખ્યા ખૂબ જ ઘટી ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટવા ઉપરાંત હવે મૃત્યુદર પણ ઘટ્યો છે. જેના પગલે સ્કૂલો ચાલુ કરવાથી લઈને ૧૦૦ ટકા કેપેસિટી સાથે પ્રાઈવેટ ઓફિસોને પણ કામ કરવાની છૂટ આપી દેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧માં દેશમાં જાેવા મળેલી કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક પૂરવાર થઈ હતી. જેની સરખામણીએ ત્રીજી લહેરમાં કેસો તો વધ્યા હતા પરંતુ મોટાભાગના દર્દીઓને ઓમિક્રોન વેરિયંટનો ચેપ લાગ્યો હતો જેની અસર સાધારણ રહેતા ઓક્સિજન સપોર્ટ તેમજ હોસ્પિટલાઈઝેશનની જરુર પડે તેવા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી રહી હતી. ત્રીજી લહેર દરમિયાન દેશમાં લગભગ ક્યાંય બેડ્‌સની અછત નહોતી સર્જાઈ. અમદાવાદની જ વાત કરીએ તો, ઘણી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ્સ ખાલી રહી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.