Western Times News

Gujarati News

મંકીપોક્સથી ગભરાવવાની જરૂર નથી: ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી

ગુજરાતમાં મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી : આગોતરી તૈયારી સાથે આરોગ્ય વિભાગ સજ્જ 

વિશ્વમાં ઘણાં દેશોમાં મંકીપોક્સે માથુ ઉંચક્યું છે. ભારતમાં પણ કેટલાક રાજ્યોમાં મંકીપોક્સના જૂજ કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યારસુધીમાં મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી. છતાં પણ આગોતરા આયોજનના ભાગરૂપે તૈયારીઓ સાથે આરોગ્યવિભાગ સંપૂર્ણપણે સજ્જ છે.

વિશ્વના કેટલાક દેશો દ્વારા મંકીપોક્સ રોગના લક્ષણો, સારવાર સંબંધિત એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેના પરથી તારણ કાઢી શકાય છે કે મંકીપોક્સ થી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂરથી રાખવી જોઇએ.

મંકીપોક્સ એક વાયરલ ઝૂનેટિક રોગ છે. જે મુખ્યત્વે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે.પ્રસંગોપાત અન્ય પ્રદેશોમાં સંક્રમણ પામે છે.  મંકીપોક્સ તબીબી રીતે તાવ, ફોલ્લીઓ, લીમ્ફ નોડ પર સોજા સાથે રજૂ થાય છે. જે અન્ય તબીબી બીમારી તરફ દોરી જઇ શકે છે.

મંકીપોક્સ સામાન્ય રીતે સ્વ-મર્યાદીત રોગ છે. જેના લક્ષણો 2 થી 4 અઠવાડિયા સુધી ચાલે છે.  મંકીપોક્સ પ્રાણીમાંથી મનુષ્માં તેમજ મનુષ્યમાંથી મનુષ્યમાં સંક્રમિત થઇ શકે છે. વાયરસ કપાયેલી ત્વચા ( જો દેખાતી ન હોય તો પણ), શ્વસન માર્ગ અથવા મ્યુક્સ મેમ્બ્રેન( આંખો, નાક અથવા મોં) દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.

પ્રાણી થી માનવમાં સંક્રમણ ડંખ અથવા ખંજવાળ દ્વારા , શરીરના પ્રવાહી દ્રવ્ય અથવા જખમ સાથે સીધો સંપર્ક અથવા જખમ સાથે પરોક્ષ સંપર્ક સંક્રમિત જગ્યા દ્વારા થઇ શકે છે.

માનવી થી માનવમાં સંક્રમણ મુખ્યત્વે મોટા શ્વસન ટીપાઓ દ્વારા થાય છે તેવું માનવામાં આવે છે. જે સામાન્ય રીતે લાંબા સમય સુધી નજીકના સંપર્કમાં રહેવાથી થાય છે.

તે શરીરના પ્રવાહી દ્રવ્ય અથવા જખમ સાથેના સીધા સંપર્ક દ્વારા અને જખમ સાથે પરોક્ષ રીતે સંપર્ક દ્વારા પણ પ્રસારીત થઇ શકે છે. જેમ કે ચેપગ્રસ્ત વ્યક્તિના કપડા અથવા લિનન દ્વારા.

મંકીપોક્સની ક્લિનિકલ રજુઆત શીતળાની જેમ દેખાય છે. સંબંધિત ઓર્થોપોક્સ વાયરસનો ચેપ જેને ૧૯૮૦ માં વિશ્વભરમાં નાબૂદ જાહેર કરવામાં આવ્યો હતો. મંકીપોક્સ શીતળા કરતા ઓછું ચેપી છે અને ઓછી ગંભીર બીમારી સર્જે છે.

સંક્રમણનો સમયગાળો સામાન્ય રીતે ૭ થી ૧૪ દિવસનો હોય છે. પરંતુ તે ૫ થી ૨૧ દિવસનો થઇ શકે છે. ચેપગ્રસ્ત વ્યક્તિ ફોલ્લીઓ દેખાવાના 1-2 દિવસ પહેલાથી રોગ ફેલાવી શકે છે અને જ્યાં સુધી તમામ સ્કેબ પડી ન જાય ત્યાં સુધી તે ચેપી રહી શકે છે.

લક્ષણો –ચહેરા, હાથ, પગ, મોં અને જનનાંગો પર ફોલ્લા સાથે ફોલ્લીઓ થવી. તાવ આવવો. માથામાં દુખાવો થવો. થાક લાગવો. અસ્વસ્થતાની લાગણી અનુભવવી અને લસિકાગ્રંથીઓ પર ગાંઠો અને સોજો થવો.મોઢા, હાથ અને પગના પંજાના ભાગથી ચાઠા અને ચકામાં પડવાની  શરૂઆત થાય જે ધીમે ધીમે અન્ય ભાગોમાં પ્રસરે છે.

મંકીપોક્સ ના સંક્રમણથી બચવા શું કરવું જોઇએ….

મંકીપોક્સના લક્ષણો જણાઇ આવતા હોય  તેવા કોઇપણ વ્યક્તિ સાથે ત્વચા- થી – ત્વચા અથવા ચહેરા- થી – ચહેરાનો સંપર્ક ટાળવો. સ્વચ્છતા જાળવવી(હંમેશા હાથ સાફ રાખવા). સુરક્ષિત સેક્સનો અભ્યાસ કરવો.  સંક્રમિત વ્યક્તિની કાળજી લેતી વખતે હાથમાં મોજા અને PPE કીટ પહેરવી.

મંકીપોક્સ ના દર્દીને આપવામાં આવતી સારવાર…

મંકીપોક્સ થી સંક્રમિત દર્દીને સૌ પ્રથમ આઇસોલેસનમાં રાખવામાં આવે છે. આ દરમિયાન રોગ સામે રક્ષણાર્થે સપોર્ટીવ કેર થેરાપી શરૂ કરવામાં આવે છે. હાઇરીસ્ક સંક્રમણ હોય તેવા કિસ્સામાં નિષ્ણાંત તબીબની સલાહ-સૂચન મુજબ એન્ટીવાયરલ ડ્રગ આપવામાં આવે છે.

સમગ્ર સારવાર દરમિયાન દર્દીનું હાઇડ્રેશન મેઇન્ટેન કરવું પડે છે. મલ્ટી વિટામીન નિયમિત રીતે આપવામાં આવે છે. વાયરસના સંક્રમણના કારણે શરીરમાં ડેમેજ થયેલા કોષના પુન:નિર્માણમાં તે મદદરૂપ બને છે.

આ સમયગાળા દરમિયાન દર્દીને પોષણયુક્ત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે રીતે  ફ્લુઇડ હેન્ડલીંગમાં ધ્યાન રાખવામાં આવે છે.  મંકીપોક્સ થી સંક્રમિત થયેલ દર્દી માટે ૫ થી ૨૧ દિવસ સુધીનો સમયગાળો અતિમહત્વનો હોય છે. જે દરમિયાન દર્દીને સતત દેખરેખ હેઠળ રાખીને જરૂરી માપદંડોને મોનીટર કરવામાં આવે છે.  -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.