Western Times News

Gujarati News

સેનામાં પાકિસ્તાનીઓની તપાસ કરવા CIDને આદેશ

પ્રતિકાત્મક

(એજન્સી)કોલકાતા, ભારતીય સેનામાં પાકિસ્તાની નાગરિકો કામ કરતા હોવાના આક્ષેપો થયા છે. આ મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે કોલકાતા હાઈકોર્ટે ગઈકાલે રાજ્ય CIDને ફરિયાદ નોંધીને તેની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. બંગાળના હુગલી જિલ્લાના રહેવાસી વિષ્ણુ ચૌધરીએ ૬ જૂને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

વિષ્ણુ ચૌધરી દ્વારા દાખલ કરાયેલી અરજીમાં તેણે સેનાની ભરતીમાં ભ્રષ્ટાચારનો અને અનેક પાકિસ્તાની નાગરિકોને વિવિધ પદો પર નિયુક્ત કરવાનો આરોપ લગાવ્યો હતો. હાઈકોર્ટના જસ્ટિસ રાજશેખર મંથાની બેંચે આ મામલાની સુનાવણી કરતા તેની પાછળ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISISની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે.

અરજીમાં કરવામાં આવેલા આરોપોને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખૂબ જ ગંભીર ગણાવતા તેમણે સીઆઈડીને આ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવા જણાવ્યું છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે બે પાકિસ્તાની નાગરિકો કોલકાતાની બાજુમાં આવેલા બેરકપુર આર્મી કેમ્પમાં કામ કરી રહ્યા છે.

તેમના નામ જયકાંત કુમાર અને પ્રદ્યુમન કુમાર જણાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનથી આવ્યા બાદ પોતાનું નામ બદલીને અહીંથી ઓળખ કાર્ડ વગેરે મેળવ્યા બાદ ભારતીય સેનામાં જાેડાયા છે. આરોપ છે કે તેમની નિમણૂક પણ સરકારી પરીક્ષા દ્વારા કરવામાં આવી હતી.

કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને સીઆઈડીને પક્ષકાર બનાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે તેણે ઈસ્ટર્ન આર્મી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ અને આર્મી પોલીસને પણ આ કેસમાં પક્ષકાર બનાવવા કહ્યું છે. જસ્ટિસ મંથાએ કહ્યું કે હવે આ કેસ સંબંધિત આરોપોની તપાસ સીઆઈડીકરશે. તેણે પ્રાથમિક તપાસ રિપોર્ટ પણ મંગાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.