Western Times News

Gujarati News

અતીક અહેમદના વકીલ વિજય મિશ્રાની ધરપકડ

પ્રયાગરાજ, યુપી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને પ્રયાગરાજ પોલીસની સંયુક્ત ટીમે ઉમેશ પાલ મર્ડર કેસમાં અતીક અહેમદના એક વકીલની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો હતો. કાકરાના (સરાયઈનાયત) રહેવાસી વકીલ વિજય કુમાર મિશ્રાની લખનઉથી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, આઈપીસીની કલમ ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૭, ૫૦૬, ૩૪ અને ૧૨૦ મ્ની સાથે-સાથે ૭ સીએલસી એક્ટ, એક્સપ્લોસિવ એક્ટની કલમ ૩ તેમજ એસસી-એસટી એક્ટની કલમ ૩ (૨) હેઠળ ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતી. અન્ય વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે અતીકના ધરપકડ થયેલા વકીલ ખાન દૌલત હનીફના નિવેદન તેમજ અન્ય ઈલેક્ટ્રોનિક પુરાવાના આધારે મિશ્રાની ધરપકડ કરી હતી.

રિપોર્ટ્‌સ પ્રમાણે, વિજય મિશ્રા અતીકની ગેરકાયદેસર સંપત્તિની ડીલ કરવામાં સામેલ હતો. તેના ભાઈ અશરફની પત્ની જૈનબ ફાતિમાના કહેવા પર વિજય મિશ્રાએ કેટલીક સંપત્તિને વેચાવીને પૈસા પહોંચાડ્યા હતા.

સાથે જ છેલ્લા બે દિવસથી તે લખનઉમાં અતીકની બેનાની સંપત્તિની ડીલ કરવા માટે રોકાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રયાગરાજના જ એક નેતા દ્વારા ગેરકાયદેસર સંપત્તિની ડીલ થવાની હતી. પૂછપરછમાં વિજય મિશ્રા પાસેથી પોલીસને કેટલીક મહત્વની જાણકારી મળી હતી. અતીક અને અશરફની હત્યા બાદ સતત નાસતી ફરી રહેલી તેમની બેગમ શાઈસ્તા પરવીન અને જૈનબના તે સંપર્કમાં હતો. આ બંને મહિલાઓ સાથે તેની મુલાકાત પણ થઈ રહી હતી.

વિજય મિશ્રાએ પર આરોપ છે કે, તેણે ઉમેશનું લોકેશન શૂટરને આપ્યું હતું અને તે જેલમાં બંધ અતીકના ભાઈ અશરફ સાથે સતત સંપર્કમાં હતો. રિપોર્ટ્‌સ પ્રમાણે, તે લખનઉની એક ફાઈવ સ્ટાર હોટેલમાં કોઈ મહિલા સાથે રોકાયો હતો. મહિલાના અતીકના પરિવાર સાથે કનેક્શન હોવાનું પણ કહેવાય રહ્યું છે.

આ સિવાય અતીક અને અશરફને જે હોસ્પિટલના પરીસરમાં ગોળી મારવામાં આવી ત્યાં આસપાસ જ વિજય મિશ્રા ઉપસ્થિત હતો. તેના પર અતીકના નામે ખંડણી માગવાનો પણ આરોપ છે. જણાવી દઈએ કે, અહેમદ પરિવારે શૂટરો સાથે મળીને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રહી ચૂકેલા રાજુ પાલની હત્યાના સાક્ષી ઉમેશ પાલની ૨૪ ફેબ્રુઆરીએ હત્યા કરી હતી.

ઉમેશ પાલ જ્યારે કારમાં પોતાના ઘર તરફથી જઈ રહ્યા હતા ત્યારે શૂટરોએ તેમને નિશાન બનાવ્યા હતા અને ફાયરિંગ કરવાની સાથે-સાથે બોમ્બ પણ ફેંક્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ઉમેશ પાલ અને તેના બે ગનરને આસપાસના લોકોએ તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ત્રણેયનું મોત થયું હતું. આ હત્યાકાંડમાં અતીક અહેમદનું નામ સામે આવ્યું હતું. અતીક અને અશરફ પર ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો.

ઉમેશ પાલ મર્ડર કેસમાં તેમના પત્ની જયા પાલે અતીક અહેમદ, અશરફ અહેમદ, અતીકની પત્ની શાઈસ્તા, દીકરા અસદની સાથે શૂટર અરમાન, ગુલામ, ગુડ્ડુ મુસ્લિમ અને સાબિર સામે કેસ નોંધાવ્યો હતો. જેમાંથી અતીક અને અશરફ સહિત છ આરોપીઓ આ દુનિયામાં નથી. પહેલા અસદને પોલીસે એન્કાઉન્ટરમાં ૧૩ એપ્રિલે ઠાર કર્યો હતો, જેના બે દિવસ બાદ એટલે કે ૧૫મી એપ્રિલે જ્યારે અહેમદ બ્રધર્સને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા ત્યારે ત્રણ શૂટરોએ તેને ગોળી મારી હતી. જ્યારે શાઈસ્તા અને ગુડ્ડુ મુસ્લિમ ફરાર છે. તેમને શોધવા માટે પોલીસ ઘણી મથામણ કરી ચૂકી છે અને ઈનામ પણ જાહેર કર્યું છે. તેમ છતાં સફળતા મળી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.