Western Times News

Gujarati News

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના કેસમાં પાંચમી માર્ચે હાઈકોર્ટનો ચુકાદો

વર્તમાન સમિતિ કાર્યકારી સમિતિ તરીકે રોજિંદા કામોના નિર્ણય લેશે

(એજન્સી)અમદાવાદ, બરોડા ક્રિકેટ એસોસિએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીના જંગના મામલે થયેલી રિટ પિટીશનમાં હાઈકોર્ટે પાંચમી માર્ચે ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં તમામ પક્ષોની સુનાવણી પૂર્ણ થઈ છે અને હાઈકોર્ટના જસ્ટિસ નારિલ મહેતાએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે,

એસોસિએશનની વર્તમાન સમિતિ કાર્યકાર સમિતિ તરીકે રોજિંદા કામ કરશે. વર્તમાન સમીતિ મહત્ત્વના કે નીતિ વિષય નિર્ણયો લઈ શકશે નહીં. ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી બેલેટ પેપર સુરક્ષિત રાખવાના રહેશે. નોંધનીય છે કે, આ મામલે બે દિવસ હાઈકોર્ટ સમક્ષ પક્ષકારો તરફથી મેરેથોન દલીલો કરવામાં આવી હતી.

આ મામલે પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં બીસીસીઆઈ, બરોડા ક્રિકેટ એસોસિએશન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઈન્દુલકર, અમર પેટીવાલેને ચૂંટણી લડવાથી રોકવાની દાદ માંગવામાં આવી હતી.

બરોડા ક્રિકેટ એસોસિએશન વતી રજૂઆત કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સુધારવામાં આવ્યું છે. ફરિયાદો માટે ઓમ્બુસ્મેન્ટની રચના કરાઈ છે જેના ચેરમેન તરીકે કેરળ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ કાર્યરત છે જ્યારે અરજદારો પાસે અન્ય કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે ત્યારે હાઈકોર્ટમાં આ અરજી ટકવા પાત્ર નથી.

સામે પક્ષે અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે, બીસીસીઆઈ અને બીસીએ સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિઓ નથી. ભારતમાં ઓર્ગેનાઈઝ ક્રિકટ ઉપર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો સંપૂર્ણ કંટ્રોલ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ એસો. ભંગ કરી શકે નહીં. અરજદારોના વાંધા ઉપર નિર્ણય લીધા વગર ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરવી તે લોકશાહીના સિદ્ધાંતોનો ભંગ છે.

હાઈકોર્ટે બન્ને પક્ષકારોને સાંભળીને પ્રાથમિક દૃષ્ટિએ નોંધ્યું હતું કે, બીસીસીઆઈ અને બીસીએ સંપૂર્ણ અંગત વ્યક્તિ નથી. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પણ હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતમાં ઓર્ગેનાઈઝ ક્રિકેટ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે.

નોંધનીય છે કે, આ રિટમાં જસ્ટિસ નિરલ આર.મહેતાએ ચૂંટણીની પ્રક્રિયા માટેની એક વચગાળાની વ્યવસ્થા કરી આપતો આદેશ કર્યો હતો અને ત્યારબાદ ચૂંટણી માટે મતદાન થયું હતું. જે આદેશમાં પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિતના ચાર પ્રતિવાદીઓને ચૂંટણીમાં લડવા દેવાનો આદેશ કર્યો હતો. સાથે જ ઠરાવ્યું હતું કે, ચૂંટણી લડવાની આ મંજૂરીથી તેમના પક્ષમાં કોઈ હકદાવો આવશે નહીં અને ચૂંટણીમાં તેમની ભાગીદારી આ કેસના અંતિમ ચુકાદાને આધીન રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.