Western Times News

Gujarati News

ઉજ્જૈનઃ નિઃશુલ્ક ભસ્મ આરતી બંધ, ઓનલાઈન જ કરી શકાશે બુકિંગ

નવી દિલ્હી, મધ્યપ્રદેશના ઉજ્જૈનના પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીના દર્શનને લઈને મંદિર સમિતિ દ્વારા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ભક્તોની સુવિધા અને વ્યવસ્થા જાળવવા માટે હવે ઓફલાઇન બુકિંગની પ્રક્રિયામાં મહત્ત્વનો ફેરફાર કરાયો છે.

ઉજ્જૈનમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધન સમિતિએ ભસ્મ આરતી માટેની ઓફલાઇન પરમિશનની સુવિધા ૯ એપ્રિલથી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. અત્યાર સુધી ભક્તો કલાકો સુધી કતારમાં ઉભા રહીને ઓફલાઇન પરમિશન મેળવતા હતા, પરંતુ હવે આ આખી પ્રક્રિયાને ડિજિટલ બનાવી દેવામાં આવી છે.

અગાઉ મંદિર સમિતિ દ્વારા કુલ ૧૭૦૦ ભક્તોને ભસ્મ આરતી માટે પરવાનગી આપવામાં આવતી હતી, જેમાંથી ૩૦૦ ભક્તોને નિઃશુલ્ક (ળી) પરમિશન મળતી હતી. નવા નિયમો મુજબ હવે નિઃશુલ્ક વ્યવસ્થા પૂરી કરી દેવામાં આવી છે.

હવે ‘તત્કાલ બુકિંગ’ હેઠળ આવતા આ ૩૦૦ ભક્તોએ પણ પ્રતિ વ્યક્તિ ૨૦૦ રૂપિયાની ઓનલાઇન ફી ચૂકવવી પડશે.જે ભક્તો તાત્કાલિક ધોરણે આરતીમાં સામેલ થવા માંગે છે, તેમણે દર્શનના એક દિવસ અગાઉ મંદિરની સત્તાવાર વેબસાઇટ પર બુકિંગ કરવાનું રહેશે. આ માટેનું પોર્ટલ દરરોજ સવારે ૮ વાગ્યે ખુલશે અને ‘વહેલા તે પહેલા’ના ધોરણે બુકિંગ કરી શકાશે.

દાખલા તરીકે, જો તમારે ૧૬ એપ્રિલની આરતીમાં જવું હોય, તો ૧૫ એપ્રિલ સવારે ૮ વાગ્યે ઓનલાઇન બુકિંગ કરવાનું રહેશે.નિયમિત ઓનલાઇન બુકિંગ માટેની વિન્ડોમાં પણ ફેરફાર કરાયો છે. પહેલા ભક્તો ત્રણ મહિના અગાઉ બુકિંગ કરી શકતા હતા, પરંતુ હવે આ સમયગાળો ઘટાડીને એક મહિનો કરી દેવામાં આવ્યો છે.

હવે દરેક મહિનાની ૧લી તારીખે સવારે ૮ વાગ્યે આગામી મહિના માટેનું બુકિંગ પોર્ટલ ખુલશે. જેમ કે, જૂન મહિનાનું બુકિંગ ૧ મેથી શરૂ થશે.ભસ્મ આરતી ઉપરાંત સંધ્યા આરતી અને શયન આરતી માટે પણ ઓનલાઇન બુકિંગ ફરજિયાત છે, જેના માટે પ્રતિ વ્યક્તિ ૨૫૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

સંધ્યા આરતી માટે બુકિંગ પોર્ટલ દરરોજ બપોરે ૧૨ વાગ્યે અને શયન આરતી માટે સાંજે ૪ વાગ્યે ખુલે છે. સામાન્ય ભક્તો માટે માત્ર ‘ચલિત દર્શન’ (ચાલતા દર્શન) જ મફત રાખવામાં આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.