Western Times News

Gujarati News

સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ

નવી દિલ્હી, તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોના ૨ દિવસ બાદ પણ સરકાર રચવા અંગે અનિશ્ચિતતા યથાવત છે. રાજ્યમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી ટીવીકેના નેતા વિજયે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યાે હતો, પરંતુ રાજ્યપાલે બહુમતી ન હોવાનું જણાવી તેમને પરત મોકલ્યા છે.

વિજયે ૧૧૨ ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો હતો, પરંતુ રાજ્યપાલે તેમને સરકાર બનાવવા માટે જરૂરી ૧૧૮ ધારાસભ્યોનું સમર્થન લાવવા જણાવ્યું છે. આ ખેંચતાણ વચ્ચે હવે રાજ્યમાં ‘રિસોર્ટ પોલિટિક્સ’ની એન્ટ્રી થઈ છે.પક્ષમાં ભંગાણના ડરથી એઆઈએડીએમકેએ પોતાના ૧૫ ધારાસભ્યોને પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી મોકલી દીધા છે.

પુડુચેરીમાં એનડીએની સરકાર હોવાથી ત્યાં ધારાસભ્યો સુરક્ષિત રહેશે તેમ પક્ષ માની રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પલનીસ્વામીના નજીકના નેતા સી.વી. શન્મુગમે ‘ધ શોર ત્રિશ્વમ‘ રિસોર્ટમાં ૨૦થી વધુ રૂમ બુક કરાવ્યા છે. અનેક ધારાસભ્યો ત્યાં પહોંચી ગયા છે અને હજુ વધુ રૂમ બુક કરાવાય તેવી શક્યતા છે.

એઆઈએડીએમકેએ આ પગલું ત્યારે ભર્યું છે જ્યારે તેના કેટલાક ધારાસભ્યોએ વિજયની પાર્ટી ટીવીકેને સમર્થન આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.બીજી તરફ, રાજ્યના રાજકારણમાં સૌથી મોટો ઉલટફેર થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. કટ્ટર હરીફ ગણાતા ડીએમકે અને એઆઈએડીએમકે ગઠબંધન કરી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

જાણવા મળ્યું છે કે બંને પક્ષો વચ્ચે પડદા પાછળ વાતચીત ચાલી રહી છે, જોકે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. પોતાની પકડ મજબૂત રાખવા અને ધારાસભ્યોને એકજૂથ રાખવા માટે એઆઈએડીએમકે અત્યારે તમામ પ્રયાસો કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે તમિલનાડુના સિંહાસન પર કોણ બિરાજશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.