‘ટીબી મુક્ત ભારત અભિયાન’: ૪૨ કિલોથી ઓછું વજન ધરાવતા દર્દીઓ અને 14વર્ષથી નાના બાળકોને “રેડી ટુ ઇટ ન્યુટ્રીશન સ્નેક્સ” અપાશે
ગાંધીનગર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશને સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સોમવાર તા. 18-05-2026ના રોજ લોકભવન ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત થઈ રહેલી કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુજરાતને ક્ષયમુક્ત કરવા માટે આ અભિયાનને એક વ્યાપક જન-આંદોલનનું સ્વરૂપ આપવું જરૂરી છે. તેમણે અધિકારીઓને ક્ષય નિયંત્રણની કામગીરીમાં સહેજ પણ ઢીલાશ ન રાખવા અને લોકોમાં મહત્તમ જાગૃતિ ફેલાવવા તાકીદ કરી હતી. આ ઉપરાંત ટી.બી.ના દર્દીઓને નશામુક્તિ અંગે જાગૃત કરવા જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટ સૂચના આપી હતી કે, ટીબીના પ્રત્યેક દર્દી સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચે તેવી સચોટ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. બેઠકમાં રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી સમક્ષ આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયના લક્ષ્યાંકો રજૂ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ટીબીનું સંપૂર્ણ નિદાન અને સારવાર તમામ સબ-સેન્ટર અને સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. હાલમાં રાજ્યમાં ૨,૩૫૧ માઇક્રોસ્કોપી સેન્ટર, ૩ અત્યાધુનિક ટીબી કલ્ચર લેબોરેટરી, ૭૪ CBNAAT મશીનો અને ૩૮૬ TrueNAT મશીનો કાર્યરત છે.
વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન રાજ્યના પ્રત્યેક તાલુકા અને વધુ ભારણ ધરાવતા જિલ્લાઓ માટે નવા ૧૦૦ TrueNAT મશીનો ખરીદવામાં આવશે, જેથી ૧૦૦% અપફ્રન્ટ NAAT ટેસ્ટિંગ સુનિશ્ચિત થાય. ઘર-ઘર જઈને સંભવિત ટીબી દર્દીઓની તપાસ કરવા માટે વધારાના ૩૩૩ પોર્ટેબલ હેન્ડ-હેલ્ડ એક્સ-રે મશીનો વસાવવામાં આવશે. આ ઉપરાંત ૪૨ કિલોથી ઓછું વજન ધરાવતા પુખ્ત દર્દીઓ અને ૧૪ વર્ષથી નાના તમામ બાળકોને ૬ મહિના સુધી ‘રેડી ટુ ઇટ ન્યુટ્રીશન સ્નેક્સ‘ અપાશે.
આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
