Western Times News

Gujarati News

મેં ૨૦૧૪માં ડ્રગ્ઝ લેવાનું બંધ કરી દીધું -વજન ૧૦૫ કિલો થઈ ગયું -દવાઓને કારણે ટાલ પડી ગઈ: હની સિંઘ

મુંબઈ, હની સિંઘ વ્યસન અને ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો અને તેના કારણે તે લાંબા સમય સુધી લાઇમલાઇટથી દુર થઈ ગયો હતો. તાજેતરમાં તેણે ઇન્ટરવ્યુમાં તેના જીવનના સૌથી ખરાબ સમયની વાત તાજી કરી છે.

તેણે આ ઇન્ટરવ્યુમાં વ્યસન અને બાયપોલર ડિસઓર્ડર સાથે સંઘર્ષની વાત કરી હતી. તેણે કહ્યું કે તે કઈ રીતે કૅરિઅરની ટોચ પર હતો ત્યારે તેણે માનસિક આરોગ્ય સાથે લડવું પડ્યું અને વર્ષાે સુધી એકલા રહીને સારવાર કરીને તે કામમાં પાછો ફરી શક્યો.

હનીસિંઘે કહ્યું કે તે મુંબઇમાં એક મ્યુઝિક શો જજ કરી રહ્યો હતો અને શાહરુખ સાથે યુએસમાં ટુર પર હતો, ત્યારે પહેલી વખત તેને આ તકલીફના સંકેતો જોવા મળ્યા હતા. તેને અચાનક જ અચાનક ડર અને ગભરામણ થવા લાગી હતી. હની સિંઘે જણાવ્યું, “મને એવા વિચિત્ર વિચારો આવતા હતા કે હું મરી જઈશ. હું શિકાગોમાં હતો, મારી સાથે કોઈ હતું. એણે મને કહ્યું કે મારે રિહર્સલમાં જવાનું છે.

મેં કહ્યું, હું નહીં જઈ શકું. શાહરુખે મને કોલ કર્યાે અને પૂછ્યું કે શું થયું, મેં કહ્યું હું સરખો થઈ જઈશ, હું તમને સ્ટેજ પર મળું છું.”હની સિંઘે કહ્યું કે તે પર્ફાેર્મ કરવાનું ટાળતો હતો કારણ કે એને ડર હતો કે એ એ સમયે પણ વ્યસન કરી લેશે. તેણે કહ્યું, “મને લાગતું હતું કે હું સ્ટેજ પર મરી જઈશ અને હું એને કઈ રીતે ટાળી શકું, એટલે મેં મારું અડધું માંથું શેવ કરી નાખ્યું પણ એમણે મને કહ્યું, અમે તમને ટોપી પહેરાવીશું. મને લાગતું હતું કે લોકો મને સમજતાં નથી.”

હની સિંઘ જણાવે છે કે તેને લાચારી અનુભવાતી હતી. તેણે જણાવ્યું, “મેં મારી બહેનને કોલ કર્યાે અને કહ્યું કે મને કંઇક થઈ ગયું છે. એણે મને કહ્યું કે ગમે તે હોય, મારે કામ તો કરવું જ પડશે. મેં ગીત ગાઈને અધવચ્ચે શો છોડી દીધો.

પછી સાત વર્ષ સુધી હું મારા ઘરમાં ભરાઈ ગયો. હું નહોતો ઇચ્છતો કે મારા ફૅન્સ મને આ એ સ્થિતિમાં જુએ. હું મારા બાળપણના મિત્રોને પણ મળવાનું ટાળતો હતો. કોઈ સાથે કોઈ જ વાત નહીં, ફોન નહીં, ટીવી નહીં, ઇન્ટરનેટ નહીં. લોકોને લાગતું કે હું રાક્ષસો સાથે વાતો કરું છું.”પોતાની સારવારની સફર વિશે વાત કરતા તેણે જણાવ્યું, “હું સાત વર્ષ સુધી એક જ દવા લેતો હતો છતાં મને ફેર પડતો નહોતો.

પણ મેં જ્યારે આખરે ઘરમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો તો મેં મારા ડોક્ટર પણ બદલી નાખ્યા. એમણે મારી દવાઓ પણ બદલી અને મારું મીઠાનું પ્રમાણ પણ ઠીકઠાક કરી દીધું. થોડાં અઠવાડિયામાં જ હું ઠીક થવા લાગ્યો. ચાર અઠવાડિયામાં હું લોકોને મળવા લાગ્યો.

મારું વજન ૧૦૫ કિલો થઈ ગયું હતું, મારા માથામાં દવાઓને કારણે ટાલ પડી ગઈ હતી. હાલ તો હું વીગ પહેરું છું. મેં ૨૦૧૪માં ડ્રગ્ઝ લેવાનું બંધ કરી દીધું તેમ છતાં મને સાજા થવામાં સાત આઠ વર્ષ લાગી ગયા.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.