Western Times News

Gujarati News

અમદાવાદમાં ફૂડ સેફ્ટી ભગવાન ભરોસે: એક અઠવાડિયામાં 4 મોટી બ્રાન્ડ્સ વિવાદમાં

AI Image

સિંધુભવન રોડની મારુતિનંદર રેસ્ટોરન્ટમાં થાળીમાંથી વાળ નીકળતાં ફરિયાદ થઈ તો અન્ય ખામી સામે આવી

(પ્રતિનિધિ) અમદાવાદ,  શહેરની જનતા જેનાં સ્વાદ અને નામ પર આંખ બંધ કરીને ભરોસો કરે છે, તેવી નામાંકિત પિઝા આઉટલેટ્સ, કાફે અને રેસ્ટોરન્ટ્સ હવે ગંદકી અને જીવાતોના કેન્દ્ર બની રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. માત્ર એક જ અઠવાડિયામાં શહેરની ચાર મોટી ફૂડ બ્રાન્ડ્સમાં ભોજનમાંથી વંદો, વાળ અને જીવાતો મળ્યાની ચોંકાવનારી ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કરોડો રૂપિયાનું બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ અને ફૂડ વિભાગો શું માત્ર એસી કેબિનોમાં બેસીને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થવાના આક્ષેપો વચ્ચે તંત્રની નબળી અને ઢીલી કામગીરીને કારણે અમદાવાદીઓનું આરોગ્ય હવે ભગવાન ભરોસે હોવાનું સામે આવી રહ્યું છે.

સિંધુભવન રોડ પર આવેલી મારુતિનંદન રેસ્ટોરન્ટમાં જમવા આવેલા ગ્રાહકની થાળીમાંથી વાળ નીકળતાં ભારે હોબાળો મચી ગયો હતો, જે પછી રેસ્ટોરન્ટમાં હાજર અન્ય ગ્રાહકોએ પણ ખાવાની ચીજવસ્તુઓ બિન-ગુણવત્તાયુક્ત અને વાસી હોવાની ફરિયાદો કરી હતી. જેના પર AMC દ્વારા માત્ર રૂ.10 હજારનો દંડ વસુલીને સંતોષ માન્યો છે.

રવિવારે શહેરના પોશ ગણાતા સિંધુભવન રોડ પર આવેલી પ્રખ્યાત મારુતિનંદન રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક ગ્રાહકની થાળીમાંથી વાળ નીકળતાં ભારે હોબાળો મચ્યો હતો. ગ્રાહકે સ્ટાફને રજૂઆત કરી હતી, પરંતુ તેમના આક્ષેપ મુજબ મેનેજમેન્ટે ગંભીરતા દાખવવાને બદલે ઉદ્ધત વર્તન કર્યું હતું.

ત્યાં હાજર અન્ય કેટલાક ગ્રાહકોએ પણ આક્ષેપ કર્યો હતો કે અહીં વાસી અને હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવે છે. એક ગ્રાહકે મંગાવેલી દાળ ખરાબ હોવાથી પરત કરી હતી, પરંતુ બીજી વખત પણ અતિશય મીઠાવાળી દાળ પીરસવામાં આવી હતી. અન્ય ગ્રાહકોના જણાવ્યા અનુસાર પીરસાયેલી રોટલી પણ ખાવા લાયક નહોતી.

અમદાવાદમાં ૩૧ મે મારુતિનંદન, સિંધુભવન રોડ ભોજનમાંથી વાળ અને વાસી ખાવાનું ફરિયાદ, માત્ર રૂ.૧૦,૦૦૦નો વહીવટી દંડ ,૩૦ મે લા મિલાનો પિઝેરિયા, નિકોલ, ઓનલાઈન ઓર્ડર કરેલા પિઝામાંથી જીવાત નીકળી માત્ર રૂ.૧૦,૦૦૦નો દંડ ૨૮ મે  મોકા કાફે, બોડકદેવ ,કોફી અને ફૂડમાંથી જીવજંતુ નીકળ્યા, કાફે સીલ કરવામાં આવ્યું.

૨૫ મે  છાશવાલા, IIM રોડ કાજુ અંજીર મિલ્કશેકમાંથી જીવજંતુ રૂ.૨૫,૦૦૦ની પેનલ્ટી   આમ,કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી મોટી બ્રાન્ડ્સ અને રેસ્ટોરન્ટ્સ માટે રૂ. ૧૦,૦૦૦થી રૂ.૨૫,૦૦૦નો દંડ સજા છે કે પ્રોત્સાહન તે સમજવું મુશ્કેલ છે. આટલો દંડ અત્યંત નાનો ગણાય છે. આવા નજીવા દંડથી બેદરકારી રોકવી મુશ્કેલ બની રહી છે.

તેમજ કિચનની સ્વચ્છતા અંગે નિયમિત ઓડિટ કેમ નહીં, એરકન્ડિશન્ડ ડાઇનિંગ હોલની પાછળ આવેલા રસોડાંમાં સ્વચ્છતાના ધોરણોનું પાલન થાય છે કે નહીં તે અંગે નાગરિકો વધુ કડક દેખરેખની માગ કરી રહ્યા છે. તંત્રની સઘન તપાસ અને તમામ તકેદારીઓ રાખવા છતાં અસ્વચ્છ અને ગુણવત્તાવિહિન ભોજન મળે, તો તે ગંભીર ચિંતાનો વિષય છે.

જાગૃત નાગરિકોની માગ છે કે AMC માત્ર દંડ ફટકારીને સંતોષ ન માને, પરંતુ નિયમોના ગંભીર ઉલ્લંઘનના કિસ્સાઓમાં વધુ કડક અને અસરકારક કાર્યવાહી કરે તેવી માંગ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.