ભારત-ઓમાન સીઈપીએ કરારથી ભારતના એક્સપોર્ટરોને શું ફાયદો થશે?
આજથી લાગું થયો CEPA કરાર -ભારતીય નિકાસકારોને મોટો ફાયદો
નવી દિલ્હી, ભારત અને ઓમાન વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર આજથી એટલે કે, ૧ જૂનથી લાગુ થઈ ગયો છે. આ એગ્રીમેન્ટને બંને દેશોના વ્યાપારી સંબંધો માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. સરકારનું માનવું છે કે આનાથી ભારતીય કંપનીઓને ઓમાનના બજારમાં વધુ પહોંચ મળશે, નિકાસ વધશે અને ઘણા સેક્ટર્સને નવી તકો મળશે. સાથે જ કેટલાક ઓમાની ઉત્પાદનો ભારતીય બજારમાં સસ્તા થઈ શકે છે.
આ સમજૂતી સોમવાર એટલે કે, ૧ જૂનથી લાગુ થઈ ગઈ છે. નાણા મંત્રાલયે રવિવારે આ કરાર અંતર્ગત ઓમાનથી આવતા ઉત્પાદનો પર શુલ્ક રાહતો અંગેની અધિસૂચના બહાર પાડી હતી. આ એગ્રીમેન્ટ હેઠળ ભારતને ઓમાનના લગભગ ૯૮ ટકા ટેરિફ લાઇન્સ પર ૧૦૦ ટકા ડ્યુટી-ફ્રી એક્સેસ મળશે. આનો અર્થ એ છે કે મોટી સંખ્યામાં ભારતીય ઉત્પાદનો આયાત શુલ્ક વિના ઓમાન મોકલી શકાશે. આનાથી ભારતીય સામાન ત્યાં વધુ કોમ્પિટિટિવ બનશે અને નિકાસકારોને ફાયદો થશે.
ભારત-ઓમાન સીઈપીએનો સૌથી મોટો ફાયદો એન્જિનિયરિંગ ગુડ્સ, ફાર્મા, કૃષિ ઉત્પાદનો, પ્રોસેસ્ડ ફૂડ, ટેક્સટાઇલ, કેમિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, પ્લાસ્ટિક, જેમ્સ એન્ડ જ્વેલરી અને દરિયાઈ ઉત્પાદનો સાથે જોડાયેલા ઉદ્યોગોને મળવાની આશા છે. અત્યાર સુધી આ ઉત્પાદનો પર ઓમાનમાં ૫ ટકાથી લઈને ૧૦૦ ટકા સુધીનો ટેરિફ લાગતો હતો. ટેરિફ હટવાથી ભારતીય કંપનીઓની પડતર કિંમત ઘટશે અને તેમના ઉત્પાદનો ત્યાં વધુ આકર્ષક બનશે.
વિશેષ રૂપે મધ, કાજુ, બોનલેસ મીટ, બેકરી ઉત્પાદનો, ચોકલેટ, ડેરી પ્રોડક્ટ્સ અને ફ્રોઝન ફિશ જેવી વસ્તુઓને મોટો ફાયદો મળી શકે છે. ભારત પહેલાથી જ ઓમાનને ઘણા કૃષિ અને ખાદ્ય ઉત્પાદનો નિકાસ કરે છે અને હવે આ વ્યાપારમાં વધુ તેજી આવવાની સંભાવના છે.
આ સમજૂતી માત્ર વસ્તુઓના વેપાર પૂરતી સીમિત નથી. આના દ્વારા ભારતીય પ્રોફેશનલ્સને પણ ઓમાનમાં કામ કરવાની વધુ સારી તકો મળી શકે છે. આઇટી, એકાઉન્ટિંગ, એન્જિનિયરિંગ, મેડિકલ, એજ્યુકેશન અને કન્સલ્ટિંગ જેવા ક્ષેત્રોમાં ભારતીય પ્રોફેશનલ્સ માટે પ્રવેશ અને કામકાજના નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઘણા સર્વિસ સેક્ટર્સમાં ભારતીય કંપનીઓ માટે ૧૦૦ ટકા વિદેશી રોકાણની મંજૂરી પણ સામેલ છે.
ફાર્મા સેક્ટરને પણ રાહત મળશે કારણ કે અમેરિકા અને યુરોપની અગ્રણી નિયમનકારી સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત દવાઓ માટે ઓમાનમાં માર્કેટિંગ મંજૂરીની પ્રક્રિયાને ઝડપી બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ કરાર પછી કેટલાક ઓમાની ઉત્પાદનો ભારતમાં સસ્તા થઈ શકે છે. ભારતે દર વર્ષે ૨,૦૦૦ ટન સુધીના ઓમાની ખજૂરની આયાત પર ડ્યુટી-ફ્રી સુવિધા આપી છે.
આ સિવાય ગમ અરેબિક, લોબાન, પેટ્રોકેમિકલ્સ અને માર્બલ જેવા કેટલાક ઉત્પાદનો પર પણ રાહતો આપવામાં આવી છે. આનાથી આ વસ્તુઓની કિંમતો પર અસર પડી શકે છે. જો કે, ભારતે પોતાના ઘણા સેક્ટર્સને સુરક્ષિત રાખવા માટે હજારો ટેરિફ લાઈનોને આ કરારથી બહાર રાખી છે, જેથી સ્થાનિક ઉદ્યોગો અને ખેડૂતો પર નકારાત્મક અસર ન પડે.
નિષ્ણાતોનું માનવું છે કે, આ કરાર માત્ર વેપાર વધારવાનું માધ્યમ નથી, પરંતુ મિડલ ઈસ્ટમાં ભારતની આર્થિક અને વ્યૂહાત્મક હાજરીને પણ મજબૂત કરશે.
