મણિનગરમાં કોરોનાના 6000 ટેસ્ટ થશે : 100 ટીમ મેદાનમાં
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ: કોરોના ના સંક્રમણ ને નિયંત્રિત કરવા માટે વધુ માં વધુ ટેસ્ટ કરવા જરૂરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ છેલ્લા એક મહિનાથી આ દિશામાં જ કામ કરી રહ્યું છે. તેમજ મોટાપાયે એન્ટીજન ટેસ્ટ થઈ રહ્યા છે. મનપા ઘ્વારા અલગ અલગ વિસ્તારમાં ટેસ્ટ માટે ટીમો મોકલવામાં આવે છે.તેના બદલે એક જ વિસ્તારમાં, એક સાથે, એક જ દિવસે મહત્તમ ટેસ્ટ થાય તે માટે મેગા ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે મણિનગરમાં સઘન ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ મણિનગર વૉર્ડમાં કોરોના ટેસ્ટ માટે 100 કરતા વધુ ટીમ મોકલવામાં આવી છે. મણિનગર વૉર્ડમાં એક જ દિવસમાં 5000 કરતા વધુ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. વિસ્તારમાં આવેલ મોટાભાગની રહેણાંક અને કોમર્શિયલ મિલ્કતોમાં જઇ ને ટેસ્ટ કરવામાં આવશે. પોઝિટિવ દર્દીઓને તેમની સ્થિતિ મુજબ હોસ્પિટલમાં રીફર કરવામાં આવશે. કોરોના ટેસ્ટ માટે સપોર્ટ સ્ટાફ ની જરૂરી છે. જેના માટે દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ ની 30 ટીમ કામ કરી રહી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.