વલસાડમાં રાત્રે ખાનગી બસ પર પથ્થરમારો થતાં દોડધામ

વલસાડ: વલસાડ શહેરમાં રાત્રે એક ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારો થતાં બજારમાં દોડધામ મચી ગઈ હતી. વલસાડના મધ્યમાં આવેલા આઝાદ ચોક પર બનેલી આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી. આ બનાવ બાદ પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડયો હતો.
બનાવની વિગત એવી છે કે વલસાડના સહિદ ચોક વિસ્તારમાં આવેલા સાગર એપાર્ટમેન્ટમાં રહેતા અને વલસાડની વલસારા ટ્રાવેલ્સ નામની એક ખાનગી લક્ઝરી બસ ચલાવતા ગુલામ મોહમ્મદ શેખ નામના બસ ચાલક વલસાડ નજીક આવેલા કોસંબા ગામમાં લક્ઝરી બસ લઈને જાનમાં ગયા હતા.
જાનને કોસંબામાં મૂક્યા બાદ તેઓ પરત અન્ય પેસેન્જરોને છોડવા માટે વલસાડ આવ્યા હતા. વલસાડના કલ્યાણ બાગ નજીકથી તેઓ પસાર થઈ ગયા હતા એ વખતે જ રસ્તા પર સામેથી એક લગ્નનો વરઘોડો આવી રહ્યો હતો. વરઘોડામાં શામેલ જાનૈયાઓએ બસ ચાલકને બસ થોભવાવા માટે જણાવ્યું હતું પરંતુ બસમાં પેસેન્જરોને લેવાના બાકી હોવાથી અને ચાલકને ઉતાવળ હોવાથી તેણે લક્ઝરી હંકારી મૂકી હતી. જે બાદમાં ચાલક વલસાડના મધ્યમાં આવેલા ટાવર નજીક પહોંચ્યા હતા.
આ સમયે બજારમાં કેટલાક લોકોએ બસને થોભાવી હતી અને અચાનક જ બસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ટોળાએ બસનો આગળનો કાચ તોડી નાખ્યો હતો તેમજ અન્ય તોડફોડ પણ કરી હતી. વલસાડના મધ્યમાં આવેલા જાહેર રસ્તા પર અને ભરબજારમાં બસ પર પથ્થરમારો થતાં થોડીવાર સુધી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતા જ વલસાડ સીટી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ખાનગી લક્ઝરી બસ પર પથ્થરમારો થતાં મામલો વલસાડ સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે બસ ચાાલકના નિવેદનના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.