ભૂવનેશ્વરની ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદગી
ભુવનેશ્વરે ત્રણ વનડેમાં ૪.૬૫ની સરેરાશથી છ વિકેટ, ટી૨૦માં ૬.૩૮ની સરેરાશથી ચાર વિકેટ ઝડપી હતી
નવીદિલ્હી, ભુવનેશ્વર કુમારને ઇંગ્લેન્ડ વિરુદ્ધ માર્ચમાં રમાયેલી લિમિટેડ ઓવરની સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરવા માટે આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ભુવનેશ્વરે ત્રણ વનડેમાં ૪.૬૫ની સરેરાશથી છ વિકેટ લીધી, જ્યારે પાંચ ટી૨૦માં ૬.૩૮ની સરેરાશથી ચાર વિકેટ લીધી હતી.
તેણે આઇસીસીએ કરેલી જાહેરાતમાં કહ્યું કે, લાંબા અને દર્દનાક બ્રેક બાદ ભારત માટે ફરી રમવાની ખુશી હતી. મેં આ દરમિયાન મારી ફિટનેસ અને ટેક્નિક પર ઘણું કામ કર્યું. ભારત માટે ફરી વિકેટ લઇને સારું લાગી રહ્યું છે. હું આ સફરમાં શરૂઆતથી મારા સાથી રહેલાં દરેક વ્યક્તિનું આભાર માનવા માગુ છુ. મારું પરિવાર, મિત્રો અને સાથી ખેલાડી.
ભુવનેશ્વર આ એવોર્ડ મેળવનાર સતત ત્રીજાે ભારતીય ક્રિકેટર બની ગયો છે. જાન્યુઆરીમાં પ્રથમ એવોર્ડ વિકેટકીપર બેસ્ટમેન ઋષભ પંતને મળ્યો હતો. ફેબ્રુઆરીમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને એવોર્ડ મળ્યો હતો. ભુવનેશ્વર ઉપરાંત અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાન અને ઝિમ્બાબ્વેનો સીન વિલિયમ્સ પણ રેસમાં હતો.
ભારતના પૂર્વ બેસ્ટમેન અને આઇસીસી વોટિંગ એકેડેમીના સભ્ય વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, ભુવી લગભગ દોઢ વર્ષ ઇજાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો નહોતો. તેણે શાનદાર વાપસી કરતાં પાવરપ્લે અને ડેથ ઓવરમાં ઇંગ્લેન્ડના આક્રમક બેસ્ટમેનો સામે સારુ પ્રદર્શન કરતાં ભારતની જીતનો પાયો નાંખ્યો હતો.
જ્યારે ભારત વિરુદ્ધ ચાર વનડેમાં એક સદી અને બે અડધી સદી ફટકારનાર મહિલા બેસ્ટમેન રેન્કિંગમાં ટોચ પર રહેલી દક્ષિણ આફ્રીકાની લિજેલે લી સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે પંસદગી પામી. તેણે કહ્યું કે, મને ખુશી છે આ પુરસ્કાર માટે મારી પસંદગી થઇ. આ વધુ સારા પ્રદર્શન માટે પ્રેરિત કરશે. મારી ટીમનો આભાર જેના વગર આ સંભવ નહોતું.