5 ડિસેમ્બરની સાંજે 5.30 સુધી એક્ઝિટ કે ઓપિનિયન પોલ પર પ્રતિબંધ
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અમદાવાદ જિલ્લો-ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે EXIT POLL તથા OPINION POLL પર પ્રતિબંધ
મતદારો કોઈના પ્રભાવમાં આવીને કે કોઈની વાતોથી પ્રભાવિત થયા વિના મતદાન કરી શકે, એવા ઉદ્દેશ સાથે ચૂંટણી પંચ દ્વારા નિયત દિવસો દરમિયાન એક્ઝિટ તથા ઓપિનિયન પોલ પર પ્રતિબંધ લાદી દીધો છે.
ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે ત્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે સાંજે પાંચ કલાકે પૂર્ણ થયાના અડધી કલાક સુધી એક્ઝિટ પોલ કે ઓપિનિયન પોલ પ્રસારિત કરી શકાશે નહીં, એવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને સર્વેક્ષણનાં પરિણામો અખબારો કે ટીવી ન્યૂઝ ચેનલોમાં પ્રસિદ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-૧૨૬(એ)ની પેટા કલમ-૧ હેઠળ પ્રતિબંધનો સમયગાળો તા.૧૨/૧૧/૨૦૨૨(શનિવાર)ના સવારના ૮-૦૦ વાગ્યાથી તા.૦૫/૧૨/૨૦૨૨(સોમવાર)ના
સાંજના ૫-૩૦ વાગ્યા દરમિયાન નક્કી કરવામાં આવ્યો છે. વધુમાં મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન મતદાન અંગેના અનુમાનો (OPINION POLL) સહિતની કોઈ પણ ચૂંટણી સંબંધી સામગ્રી કોઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમો પરથી પ્રસારિત કરવા પર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬(૧)(બી) હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ સમયગાળામાં દરમિયાન એક્ઝિટ પોલ કે ઓપિનિયલ પોલ પ્રસારિત કરનાર વ્યક્તિ બે વર્ષ સુધીની જેલની સજા કે દંડ અથવા તો બન્ને માટે સજાપાત્ર બની શકે છે.