Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કોંગ્રેસે શામળિયા શેઠને ધજા ચઢાવી

(પ્રતિનિધિ) મોડાસા, આજે શામળાજી યાત્રાધામ ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો અને પ્રતીકાત્મક કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અને શામળાજી યાત્રાધામના અધૂરા વિકાસ અંગે સરકાર અને વહીવટી તંત્રમાં જાગૃતિ અને સંવેદના જાગે તે માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભગવાન શામળિયાના ચરણોમાં સામૂહિક પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સૌપ્રથમ ભગવાન શામળિયાજીના મંદિરમાં દર્શન કરી મંદિરની પ્રદક્ષિણા કરી અને ધ્વજારોહણ બપોરે ૧૨ઃ૩૯ વાગ્યે વિજય મુહૂર્તમાં કર્યું. અને ભગવાન શામળિયાના ચરણોમાં પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવ્યો.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું કે પ્રાર્થના પત્રમાં શામળાજી યાત્રાધામના વિકાસ સાથે જોડાયેલા અનેક ગંભીર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં ખાસ કરીને શામળાજી ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમને તાત્કાલિક મંજૂરી આપવાની માંગ, વર્ષોથી પેન્ડિંગ રહેલી યોજનાઓને ઝડપથી પૂર્ણ કરવાની જરૂરિયાત અને ટીપીના કારણે વિસ્થાપિત થયેલા પરિવારોના યોગ્ય પુનર્વસનની બાબત ઉઠાવવામાં આવી હતી.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો તુષારભાઈ ચૌધરીએ વિધાનસભામાં પ્રશ્ન પૂછતા સરકારે નગરરચના અધિકારી પાસે આખરી કરવાની કામગીરી જારી છે એવો જવાબ આપેલ છે પરંતુ આ વર્ષોથી પેન્ડિંગ છે

કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી કે વર્ષ ૨૦૧૧થી શરૂ થયેલી ટીપીની કામગીરીને આજે લગભગ ૧૫ વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં સંપૂર્ણ અમલીકરણ થયું નથી. માત્ર મંદિર પરિસર સુધી મર્યાદિત વિકાસ થયો છે, જ્યારે યાત્રાધામના સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ હજુ સુધી અધૂરો છે.

યાત્રાળુઓ માટે માર્ગ વ્યવસ્થા, ર્પાકિંગ, શૌચાલયો, સ્વચ્છતા, પીવાનું પાણી તથા અન્ય મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો કરવાની તાત્કાલિક જરૂર હોવાનું પણ પત્રમાં જણાવવામાં આવ્યું.

સરકાર દ્વારા શામળાજીને નવા તાલુકા તરીકે જાહેર કરવામાં આવ્યો હોવા છતાં અનેક મહત્વપૂર્ણ તાલુકા કક્ષાની સરકારી કચેરીઓ હજુ સુધી સંપૂર્ણ રીતે કાર્યરત થઈ નથી, જેના કારણે સ્થાનિક લોકો અને યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લો નવીન અસ્તિત્વમાં આવે ૧૨ વર્ષનો સમય વીતવા છતાં હજુ આરોગ્ય, શિક્ષણ, રોજગાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેડૂતો-આદિવાસી સમાજના પ્રશ્નો સહિત અનેક મુદ્દાઓ લાંબા સમયથી ઉકેલની રાહ જોઈ રહ્યા છે, છતાં સરકાર અને વહીવટી તંત્ર તરફથી પૂરતી ગંભીરતા દેખાતી નથી.

આથી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાના લોકોની લાગણી સાથે ભગવાન શામળિયાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી કે સરકાર અને અધિકારીઓમાં પ્રજાના પ્રશ્નો પ્રત્યે જાગૃતિ અને સંવેદના જાગે, શામળાજી યાત્રાધામ અને અરવલ્લી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ઓરમાયું વર્તન દૂર કરી તાત્કાલિક અને દૃશ્યમાન પગલાં લેવામાં આવે.

આ કાર્યક્રમમાં પ્રમુખ અરૂણભાઈ પટેલ, પ્રભારી કિર્તીસિંહ ઝાલા, રાજેન્દ્રભાઈ પારઘી, મુકેશભાઈ પરમાર, વનરાજભાઈ ડામોર, રાજેન્દ્રસિંહ જાડેજા, રાહુલભાઈ ગામેતી, કાંતિભાઈ ખરાડી સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી અરવલ્લી જિલ્લાના હિત માટે સામૂહિક પ્રાર્થના કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.