નસીબ જેવું કંઈ હોતું નથી, મને એમાં ૦ ટકા વિશ્વાસ છેઃ નવાઝુદ્દીન સિદ્દીકી
મુંબઈ, એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી જમીન સાથે જોડાયેલા અવાજોમાંથી એક છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં નવાઝે સફળતા વિશે એક મજબુત અને નિખાલસ વિચાર રજૂ કર્યાે હતો. જેમાં તેણે લાંબા સમયથી ચાલતી માન્યતાને પડકારી અને કહ્યું કે કારકિર્દી ઘડવામાં ‘નસીબ’ મહત્વનું નથી.
જ્યાં ઘણા લોકો પોતાની સફળતાનો શ્રેય નસીબને આપે છે એવી ઇન્ડસ્ટ્રીમાં, નવાઝુદ્દીન પોતાના મંતવ્ય પર અડગ રહ્યા કે મહેનત, તાલીમ અને સતત અભ્યાસ જ સફળતા માટેના સાચા સાધનો છે. પોતાના વિચાર શેર કરતા તેણે કહ્યું, “હું આ વ્યવસાયમાં ઘણી પ્રેક્ટિસ સાથે આવ્યો છું અને હું દરેક અભિનેતાને કહું છું કે તેઓ નસીબ પર ઓછો અને પ્રેક્ટિસ પર વધુ વિશ્વાસ રાખે. તાલીમ ખુબ મહત્વની છે અને વર્કશોપ્સ પણ એટલી જ જરૂરી છે.”
તેમણે સીધો પડકાર આપ્યો કે નસીબ વ્યક્તિના જીવનમાર્ગને નક્કી કરી શકે છે-એવું તેમણે ઘણી વાર સાંભળ્યું છે “મેં ઘણા મોટા કલાકારો અને નિર્દેશકો પાસેથી સાંભળ્યું છે કે નસીબ ખુબ મહત્વનું છે. પરંતુ હું તમને કહું છું કે નસીબ કામ નથી કરતું. મારા માટે તો કામ નથી કર્યું. કદાચ બીજા માટે કામ કરે, પરંતુ મને તેમાં ૦% વિશ્વાસ છે.”
નવાઝુદ્દીનના મત મુજબ, મસીબને વધારે મહત્ત્વ આપવું ગેરમાર્ગે દોરનાર અને નુકસાનકારક પણ બની શકે છે. તેણે સમજાવ્યું કે આવી વિચારધારા લોકોમાં જરૂરી મહેનત કરવાની ઇચ્છા ઘટાડે છે. તેણે આગળ કહ્યું, “જો તમે નસીબની વાત કરો છો, તો તમે એવું કહી રહ્યા છો કે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. તમે પથારીમાં પડ્યા રહી શકો અને માત્ર નસીબના કારણે બધું મળી જશે. આવું વિચારવાને બદલે, તમે કોઈને પ્રેરણા આપવા માંગો છો, તો તેમને તાલીમ અને શિક્ષણ લેવા કહો.
પ્રેક્ટિસ કરો, એટલી પ્રેક્ટિસ કરો કે જ્યારે તમે કોઈની સામે ઉભા રહો, ત્યારે તેઓ તમને અવગણી ન શકે.”નવાઝુદ્દીને એવું પણ કહ્યું કે બધું પૂર્વનિર્ધારિત છે એવી માન્યતા લોકો માટે ખતરનાક બની શકે છે.
“લોકોને આવું કહીને આળસુ ન બનાવો, મેં ઘણા લોકોને જોયા છે કે તેઓ કહે છે કે બધું ભાગ્યમાં લખાયેલું છે—આ સાચું નથી. જો તમને ૧૦ વખત સફળતા ન મળે, તો ૧૧મી વાર પ્રયત્ન કરો. ઘણા લોકો ૩૦ કે ૪૦ની વયમાં સપનાઓ માટે લડવાનું બંધ કરી દે છે કારણ કે તેમને લાગે છે કે હવે સફળતા નહીં મળે. તમે ૫૦ની વયમાં પણ સફળ થઈ શકો છો.”SS1MS
