Western Times News

Gujarati News

માછીમારી બોટના ડીઝલ ભાવમાં ભારત પેટ્રોલિયમ દ્વારા કરાયેલો રૂ. ૨૨.૪૩નો વધારો પાછો ખેંચાયો

file photo

માછીમારોના હિતમાં સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય  –રાજ્યના માછીમારોને બોટ માટે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થશે

માછીમારોના હિતમાં ત્વરિત નિર્ણય કરવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રીનો મત્સ્યોદ્યોગ મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો

Gandhinagara, ગુજરાતના દરિયાકાંઠે વસતા માછીમાર ભાઈઓના આર્થિક હિતોના રક્ષણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ભારત સરકારમાં અસરકારક રજૂઆત કરીને માછીમારી બોટના ડીઝલના ભાવ વધારા અંગે મહત્વનો ઉકેલ લાવ્યા છે.

ગુજરાત સરકારના મત્સ્ય સંઘ – GFCCA દ્વારા માછીમારોને ડિસ્કાઉન્ટ ભાવે ડીઝલ મળી રહે તે માટે ભારત પેટ્રોલિયમ (BPCL) સાથે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે, તાજેતરમાં ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારો માટેના ડીઝલના ભાવમાં લિટર દીઠ રૂ. ૨૨.૪૩ નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ ગંભીર બાબતને ધ્યાને લઈ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને વિવિધ માછીમારી સંસ્થાઓ દ્વારા રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. વિષયની ગંભીરતાને ધ્યાને લઈને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારને આ અંગે હસ્તક્ષેપ કરવા રજૂઆત કરી હતી.

મંત્રીશ્રીએ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે, જે રીતે રાજ્ય માર્ગ પરિવહન નિગમને ભાવ વધારામાંથી મુક્તિ આપવામાં આવી છે, તે જ રીતે મત્સ્યોદ્યોગ ક્ષેત્રને પણ ‘સ્પેશિયલ એક્સેપ્શન’ ગણીને રાહત આપવી જોઈએ. માછીમારોને ‘કન્ઝ્યુમર સેગમેન્ટ’ને બદલે રિટેલ ગ્રાહકોની સમકક્ષ ગણવા મંત્રીશ્રીએ આગ્રહ કર્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે ગુજરાતના માછીમારોની આ વાજબી રજૂઆતને સ્વીકારી છે. જેના પરિણામે, કેન્દ્ર સરકારે ભારત પેટ્રોલિયમને માછીમારોની બોટમાં વપરાતા ડીઝલના ભાવમાં કરાયેલો રૂ. ૨૨.૪૩નો વધારો પાછો ખેંચવા સ્પષ્ટ સૂચના આપી છે. જેથી રાજ્યના માછીમારોને હવે અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થશે.

આ સફળ રજૂઆત અને ત્વરિત નિર્ણય બદલ મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પૂરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે, “રાજ્ય સરકાર હંમેશા માછીમારોના કલ્યાણ માટે કટિબદ્ધ છે અને આગળ પણ રહેશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.