૨૦૨૮ના અંત સુધીમાં અંકલેશ્વર અને ભરૂચ માટે નવું એરપોર્ટ બની તૈયાર થશે તેવી શક્યતા
File Photo
દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ હેલિપેડ બનાવવાની મંજૂરી -કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય
(એજન્સી)નવી દિલ્હી, ભારત સરકારે દેશના ઉડ્ડયન માળખા, ઇમિગ્રેશન સિસ્ટમ અને વૈશ્વિક આબોહવા પ્રતિબદ્ધતાઓને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
કેન્દ્રીય કેબિનેટે કુલ ૩૦,૬૪૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ અને નીતિગત નિર્ણયોને પોતાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયોમાં પ્રાદેશિક કનેક્ટિવિટીને વેગ આપતી ‘મોડિફાઇડ ઉડાન યોજના’ અને ઈવર્ટ ૩.૦ના વિસ્તરણની સાથે પેરિસ કરાર હેઠળ ભારતના નેશનલી ડિટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશન સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય સામેલ છે.
1. અંકલેશ્વર-ભરૂચ એરપોર્ટ
ઔદ્યોગિક હબ એવા અંકલેશ્વર અને ભરૂચ માટે આ નવું એરપોર્ટ બની રહ્યું છે.
-
સ્થિતિ: પ્રથમ તબક્કાનું (રનવે અને ગ્રાઉન્ડ લેવલિંગ) કામ પૂર્ણ થઈ ગયું છે.
-
શરૂ થવાનો સમય: ગુજરાત વિધાનસભામાં અપાયેલી લેટેસ્ટ માહિતી મુજબ, આ એરપોર્ટ ૨૦૨૮ના અંત સુધીમાં કાર્યરત થવાનું લક્ષ્ય છે.
2. કેશોદ એરપોર્ટ (જૂનાગઢ) – વિસ્તરણ
પ્રવાસન (સોમનાથ અને શાસણ ગીર) ને પ્રોત્સાહન આપવા માટે કેશોદ એરપોર્ટને મોટું કરવામાં આવી રહ્યું છે.
-
નવું અપડેટ: અહીં રનવેને ૨,૫૦૦ મીટર સુધી લંબાવવાનું કામ ચાલી રહ્યું છે, જે જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થશે. ત્યારબાદ અહીં મોટા એરબસ (A-320) વિમાનો ઉતરી શકશે.
-
વધારાની સુવિધા: અહીં કેરીના નિકાસ માટે ‘એક્સપોર્ટ હબ’ અને પાયલોટ ટ્રેનિંગ સેન્ટર બનાવવાનું પણ આયોજન છે.
કેબિનેટની બેઠકમાં સૌથી મોટી નાણાકીય ફાળવણી ઉડ્ડયન ક્ષેત્રના માળખાગત સુવિધાઓના વિસ્તરણ માટે કરવામાં આવી છે. ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાં હવાઈ સંપર્કને વધુ સુવિધાજનક બનાવવા માટે સરકારે ‘મોડિફાઇડ ઉડાન યોજના’ ને ૨૮,૮૪૦ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ દેશભરમાં ૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ હેલીપેડ વિકસાવવાની યોજનાઓ સાથે પ્રાદેશિક હવાઈ સંપર્કને મોટો વેગ મળશે.
બીજી તરફ કેબિનેટે વિદેશીઓના ભારત આગમન, તેમના વિઝા અને રજીસ્ટ્રેશનની સમગ્ર પ્રક્રિયાને આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે ‘ઇમિગ્રેશન, વિઝા, ફોરેનર્સ રજીસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ’ યોજનાને આગામી પાંચ વર્ષ એટલે કે ૧ એપ્રિલ ૨૦૨૬ થી ૩૧ માર્ચ ૨૦૩૧ સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે, જેના માટે ૧,૮૦૦ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.
સામાન્ય લોકો અને મુસાફરોના દૃષ્ટિકોણથી આનો સીધો અર્થ એ છે કે હવે ઇમિગ્રેશન અને વિઝા સેવાઓ સંપૂર્ણપણે હાઇ-ટેક અને સુરક્ષિત નેટવર્ક સાથે જોડાયેલી રહેશે, જેનાથી સાચા વિદેશી મુસાફરોને ભારત આવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં અને સાથે જ દેશની રાષ્ટ્રીય સુરક્ષા પણ પહેલા કરતા વધુ મજબૂત થશે.
નાણાકીય મંજૂરીઓ ઉપરાંત, કેબિનેટે વૈશ્વિક પર્યાવરણ સાથે જોડાયેલ એક મુખ્ય નીતિગત નિર્ણય પણ લીધો છે. સરકારે પેરિસ કરાર હેઠળ ભારતના ‘નેશનલી ડિટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશન’ ને ઔપચારિક મંજૂરી આપી દીધી છે.
આ નિર્ણય વૈશ્વિક મંચ પર ભારતના કાર્બન ઉત્સર્જન ઘટાડવાની પ્રતિબદ્ધતાઓને સ્પષ્ટ કરે છે અને ભવિષ્યમાં ગ્રીન એનર્જી તથા ટકાઉ વિકાસ સાથે જોડાયેલી કોર્પોરેટ વ્યૂહરચનાઓને એક નવી દિશા આપશે.
