Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, બેફામ ગતિએ આવતા ટ્રકે ૧૨ મહિલાને કચડી

મુંબઈ, મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર આજે અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રિપોર્ટ મુજબ, હાઈવે પર કામ કરતી શ્રમિક મહિલાઓ કામ પુરુ કરીને ઘરે જવા માટે અન્ય વાહનની રાહ જોઈ રહી હતી, ત્યારે બેફામ ગતિએ આવતા એક ટ્રકે ૧૨ મહિલા શ્રમિકોને કચડી છે, જેમાંથી ૮ના મોત થયા છે, જ્યારે ચારની હાલત ગંભીર છે.

ઘટનાની જાણ થાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના વારસદારોને ૫ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.આ હૃદયદ્રાવક ઘટના અંગે માહિતી આપતા જાળનાના એસપી અજય કુમાર બંસલે જણાવ્યું હતું કે, આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે શ્રમિકોનું એક જૂથ પોતાનું કામ પતાવીને ઘરે જવા માટે સાઇડ લેનમાં ઊભું રહીને રાહ જોઈ રહ્યું હતું.

તે સમયે પાછળથી આવતા એક ટ્રકે અચાનક લેન બદલી નાખી હતી અને આ મજૂરોને જોરદાર ટક્કર મારી હતી. આ દુખદ અકસ્માતમાં ૮ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૬થી ૭ શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસ દ્વારા અકસ્માત માટે જવાબદાર ટ્રક ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને ધરપકડ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શ્રમિક મહિલાઓ એક્સપ્રેસ હાઈવે પર કામ કરી રહી હતી. આ ભયાનક અકસ્માતની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં હાઈવે પર ચારેતરફ મહિલાઓની લાશો વિખેરાયેલી પડી હતી. જે દ્રશ્ય જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

પોલીસે એમ્બ્યુલન્સની મદદથી ઘાયલ મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી. બીજીતરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટનાને હૃદયદ્વારક ગણાવીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટિ્‌વટ કર્યું છે કે, ‘જાળના પાસે સમૃદ્ધિ મહામાર્ગ પર થયેલા અકસ્માતમાં ૮ લોકોના મોતના સમાચાર અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને હું તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તેમજ અમે તેમના પરિવારના દુઃખમાં સહભાગી છીએ.

આ ઘટનામાં જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સ્થાનિક પ્રશાસન સતત સંકલન સાધી રહ્યું છે જ્યારે જિલ્લાધિકારી અને પોલીસ અધિક્ષક પોતે ઘટનાસ્થળે હાજર છે. ઈજાગ્રસ્તોની તબિયતમાં ઝડપથી સુધારો થાય તેવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર દ્વારા આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના વારસદારોને ૫ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.