આણંદના અજરપુરા પાસે અજાણ્યા વાહનની ટક્કરે ગામડીના બાઇકચાલકનું મોત
આણંદ, આણંદ નજીક ગામડી ખાતે ત્રિકમનગર રેલવે ફાટક, હનુમાનજી મંદિર પાસે માતા સાથે રહેતો ૨૯ વર્ષીય પુત્ર રાત્રે આઠ વાગે ઘરેથી બાઈક લઈને માતાને આવું છું કહીને નીકળ્યો હતો.
જે મોડીરાત્રે આણંદ તાલુકાના અજરપુરા શિવનગર રોડ ઉપર તેને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં બાઇકચાલક યુવકનું મોત નિપજ્યાની ફરિયાદ આણંદ રૂરલ પોલીસમથકમાં નોંધાઈ છે.આણંદ નજીક ગામડી ખાતે ત્રિકમનગર રેલવે ફાટક હનુમાનજી મંદિર પાસે ભાનુંબેન વેલાભાઈ કચ્છી પોતાના ૨૯ વર્ષીય પુત્ર હીરાભાઈ કાંતિભાઈ ગોહેલ સાથે રહે છે અને ઘરકામ કરે છે.
હીરાભાઈ ગોહેલે ત્રણ વર્ષ અગાઉ છુટાછેડા લીધા હોવાથી માતા-પુત્ર સાથે રહેતા હતા અને પુત્ર હીરાભાઈ રીક્ષા ડ્રાઇવિંગ કરતા હતા. સોમવારે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં ભાનુબેન પોતાના પુત્ર હીરાભાઈ સાથે ઘરે હાજર હતા ત્યારે હીરાભાઈ પોતાનું બજાજ પ્લેટીના બાઈક લઈને ઘરેથી આવું છું તેમ કહીને નીકળ્યા હતા.
બાદમાં મોડા સુધી ઘરે પરત આવ્યા ન હતા. જેથી માતા ભાનુબેને પુત્ર હીરાભાઈના મોબાઈલ ફોન ઉપર રાત્રે સવા દશ વાગે ફોન કરતાં કોઈ અજાણ્યા માણસે ફોન ઉપાડીને તેઓના દીકરાને અજરપુરા શિવનગર રોડ ઉપર કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. જેથી ભાનુબેન પોતાના કુટુંબીજનો સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા. જ્યાં તેઓના પુત્ર હીરાભાઈને ડાબી આંખ તથા કપાળ અને શરીરે ઇજાઓ પહોંચી હતી.
જેથી સારવાર માટે આણંદની જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટરે હીરાભાઈ ગોહેલને મરણ પામેલા જાહેર કર્યા હતા.આ બનાવ અંગે ભાનુબેન વેલાભાઈ કચ્છીની ફરિયાદ લઈ આણંદ રૂરલ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS
