AI, ડિજિટલ ટૂલ્સને ન્યાયતંત્ર પર હાવી થવા દેવા જોઇએ નહીંઃ સુપ્રીમ કોર્ટ જજ
નવી દિલ્હી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ માત્ર સહાયક સાધનો તરીકે થવો જોઈએ, પરંતુ આ નવી ટેકનોલોજીને ન્યાયિક તર્ક પર હાવી થવા દેવી જોઇએ નહીં તેમ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રાજેશ બિંદલે રવિવારે જણાવ્યું હતું.
તેમણે ઓપન-સોર્સ પ્લેટફોર્મના ઉપયોગ અને ડેટાની ગુપ્તતા અંગેના સંભવિત જોખમો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ભારત સરકારના ન્યાય વિભાગના સહયોગથી સર્વાેચ્ચ અદાલતની ઇ-કમિટી દ્વારા ૧૧-૧૨ એપ્રિલે આયોજિત ‘જ્યુડિશિયલ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ એન્ડ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન’ વિષય પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સમાં તેમણે આ ટીપ્પણી કરી હતી.
સુપ્રીમ કોર્ટની ઇ-કમિટીની અખબારી યાદીમાં જણાવાયું હતું કે બે દિવસની આ કોન્ફરન્સમાં પાંચ વર્કિંગ સેશન યોજાયા હતા. દરેક સેશનમાં ટેકનોલોજીના ઇન્ટિગ્રેશન અને ન્યાયિક પ્રક્રિયાઓના રિ-એન્જિનિયરિંગના મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચાવિચારણા કરાઈ હતી. કોન્ફરન્સના બીજા દિવસે ચોથા વર્કિંગ સેશનની અધ્યક્ષસ્થા કરતાં ન્યાયાધીશ બિંદલે ટેકનોલોજીની ભૂમિકાને અવેજી તરીકે નહીં, પરંતુ સહાયક તરીકે હોવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે એઆઈ અને ડિજિટલ સાધનોનો ઉપયોગ સહાયક સાધનો તરીકે થવો જોઈએ અને તેમને ન્યાયિક તર્કને ઓવરરાઇડ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
આ કોન્ફરન્સના સમાપન સેશનમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ જે કે મહેશ્વરીએ ન્યાય વિતરણ પ્રણાલીમાં સતત ન્યાયિક સુધારા અને ટેકનોલોજીની પ્રગતિના મહત્વ ભાર મૂક્યો હતો. પાંચમા વર્કિંગ સેશનની અધ્યક્ષતા સર્વાેચ્ચ અદાલતના ન્યાયાધીશ જસ્ટિસ સંદીપ મહેતાએ કરી હતી. આ કોન્ફરન્સમાં ટોચની અદાલતના ન્યાયાધીશો, મુખ્ય ન્યાયાધીશો અને વિવિધ ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશોએ હાજરી આપી હતી.SS1MS
