Western Times News

Gujarati News

રશિયા-યુક્રેન યુદ્ધ પર આધારિત ‘ઓપરેશન ગંગા’ પર પણ કામ શરૂ

ફિલ્મનું ડિરેક્શન શિવમ નાયર કરશે. ‘ધ ડિપ્લોમેટ’માં જોન અને શિવમની જોડીને સારો પ્રતિસાદ મળ્યો હતો

જોન અબ્રાહમ ૧૯૭૧ના રહસ્યમય નાગરવાલા કેસ પર ફિલ્મ બનાવશે

મુંબઈ,જોન અબ્રાહમની ફિલ્મ ‘નાગરવાલા’ ફરી એકવાર ચર્ચામાં છે. માહિતી અનુસાર, કેકે મેનન હવે આ પ્રોજેક્ટનો ભાગ નથી અને તેમની જગ્યાએ નવા કલાકારની શોધ ચાલુ છે. તે જ સમયે, વિજય સેતુપતિની ‘ઓપરેશન ગંગા’ પર પણ કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ અને રિસર્ચ વર્ક લગભગ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં પ્રી-પ્રોડક્શનની આગામી પ્રક્રિયા શરૂ થવાની અપેક્ષા છે.જ્યાં ‘નાગરવાલા’ હજુ પ્રારંભિક ડેવલપમેન્ટ ફેઝમાં છે, ત્યાં જોનની બીજી રિયલ-લાઇફ ફિલ્મ ‘ઓપરેશન ગંગા’ ઘણી આગળ વધી ચૂકી છે. સૂત્રો અનુસાર, ‘ફિલ્મનો પહેલો ડ્રાફ્ટ ઘણો સમય પહેલા તૈયાર થઈ ગયો હતો અને હવે ફાઇનલ ડ્રાફ્ટ પર કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.

આ જ કારણ છે કે ઇન્ડસ્ટ્રીમાં આ પ્રોજેક્ટને જોનની આગામી મોટી ફિલ્મ તરીકે જોવામાં આવી રહ્યો છે. ફિલ્મની વાર્તા ભારત સરકારના ઓપરેશન ગંગા પર આધારિત છે, જેના હેઠળ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન હજારો ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે સ્વદેશ પાછા લાવવામાં આવ્યા હતા. જોકે, ફિલ્મ માત્ર રેસ્ક્યુ મિશન પૂરતી મર્યાદિત રહેશે નહીં.જોન અબ્રાહમ છેલ્લા કેટલાક વર્ષાેથી પોતાની ફિલ્મોની પસંદગીમાં મોટો બદલાવ કરતો જોવા મળી રહ્યો છે. મસાલા એક્શન ફિલ્મોથી અલગ હવે તેનો ઝુકાવ વાસ્તવિક જીવનની ઘટનાઓ અને રાષ્ટ્રીય મહત્વના વિષયો પર આધારિત વાર્તાઓ તરફ છે.

‘ધ ડિપ્લોમેટ’ પછી હવે તેની પાસે આવા જ બે મોટા પ્રોજેક્ટ્‌સ છે, જેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. પહેલો ૧૯૭૧ના ચર્ચિત નાગરવાલા કેસ પર આધારિત ક્રાઈમ-થ્રિલર છે, જ્યારે બીજો ભારત સરકારના ઓપરેશન ગંગા પર આધારિત હાઈ-સ્કેલ રેસ્ક્યુ ડ્રામા છે. જોકે, બંને ફિલ્મોની પ્રગતિ અલગ-અલગ તબક્કામાં છે.રિપોટ્‌ર્સ અનુસાર, આ ફિલ્મનું ડિરેક્શન શિવમ નાયર કરશે. ‘ધ ડિપ્લોમેટ’માં જોન અને શિવમની જોડીને સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે બંને ફરી એકવાર સાથે કામ કરવાની તૈયારીમાં છે. ઇન્ડસ્ટ્રીના સૂત્રોનું કહેવું છે કે, રિયલ-ઇન્સિડન્ટ આધારિત ફિલ્મોને લઈને બંનેની સમજ ઘણી મજબૂત બની ગઈ છે, તેથી તેમનો આગામી પ્રોજેક્ટ પણ આ જ શૈલીમાં પ્લાન કરવામાં આવ્યો છે.

સૂત્રો અનુસાર, ‘હાલમાં ફિલ્મ રાઇટિંગ ફેઝમાં છે. વાર્તા અલગ-અલગ લેખકોના સ્તરે વિકસાવવામાં આવી હતી, જેને ડિરેક્ટર પોતાની જરૂરિયાત મુજબ તૈયાર કરાવી રહ્યા છે.’ફિલ્મની વાર્તાનો બેકડ્રોપ ૧૯૭૧ હશે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેનો સંબંધ ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે નથી. ફિલ્મની વાર્તા તે જ વર્ષે સામે આવેલા ચર્ચિત નાગરવાલા બેંક કેસથી પ્રેરિત હોવાનું કહેવાય છે, જેને ભારતીય ન્યાયિક અને રાજકીય ઇતિહાસના સૌથી રહસ્યમયી કેસોમાંનો એક ગણવામાં આવે છે. પૂર્વ સૈન્ય અધિકારી રુસ્તમ સોહરાબ નાગરવાલા પર આરોપ હતો કે તેમણે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના અવાજની નકલ કરીને ભારતીય સ્ટેટ બેંકના મુખ્ય કેશિયરને ફોન કર્યાે અને લગભગ ૬૦ લાખ રૂપિયા કઢાવી લીધા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.