Western Times News

Gujarati News

ગુજરાતના આ સ્થળે થયો, NCC નેવલ યુનિટના “નૌકા અભિયાન”નો આરંભ

NCC  પ્રવૃત્તિ દ્વારા યુવાનોમાં સાહસ અને શોર્યની ભાવના વધશે અને ભવિષ્યમાં પણ નેવીમાં જવા માટે આ કેમ્પ  ખૂબ જ ઉપયોગી નિવડશે રાજવી પરિવારના શ્રી રઘુવીરસિંહ ગોહિલ

રાજવી પરિવારના શ્રી રઘુવીરસિંહ ગોહિલ અને શ્રીમતી રૂકમણી દેવી ગોહિલની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ દ્વારા NCC નેવલ યુનિટના “નૌકા અભિયાન” નો  કરાયો શુભારંભ

રાજપીપલા, ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના નેતૃત્વ હેઠળ ગુજરાતના યુવાનોની તાલીમ અને પ્રેરણામાં મોખરે રહેલાં ગુજરાતના NCC ના આર્મી, નેવી અને એરફોર્સના કેડેટ્સને તાલીમબધ્ધ કરવાની સાથે તેમનામાં સાહસ-શોર્યની ભાવના કેળવાય તેવા હેતુથી

ભારતના ૭૨ માં બંધારણ દિવસ અને NCC દિવસની ઉજવણીના ઉપલક્ષમાં કમાન્ડીંગ ઓફીસ ૯-નેવલ યુનિટ, NCC-નવસારી ધ્વારા અને ગુજરાત NCC ડિરેક્ટોરેટના એડીશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અરવિંદ કપૂરના દિશા નિર્દેશો હેઠળ રાજપીપલામાં કરજણ ડેમ સાઇટ ખાતે રાજપીપલાના રાજવી પરિવારના શ્રી રઘુવીરસિંહ ગોહિલ

અને શ્રીમતી રૂકમણીદેવી ગોહિલ તેમજ વડોદરા NCC ગૃપ હેડ-કવાર્ટરના બ્રિગેડીયર ડી.એસ.રાવત, ૯-નેવલ યુનિટ, NCC- નવસારીના લેફ.કમાન્ડર અમીત નૈન સહિત ભાગ લઇ રહેલાં નેવલ વિંગના ૮૫ જેટલા NCC કેડેટ્સની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરી (ઝંડી ફરકાવીને) “નૌકા અભિયાન-૨૦૨૧” નો શુભારંભ કરાયો હતો.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, તા.૧૮ મી નવેમ્બર,૨૦૨૧ થી તા.૨૭ મી નવેમ્બર, ૨૦૨૧ સુધી ચાલનારા આ અભિયાનમાં ગુજરાત રાજ્ય સહિત દાદરા, નગર હવેલી, દમણ અને દિવના નેવલ વિંગના ૮૫ જેટલા NCC કેડેટ્સ આ નૌકા અભિયાનમાં ભાગ લઇ રહ્યાં છે અને આ તાલીમ-અભિયાન દરમિયાન NCC કેડેટ્સ આશરે ૨૧૦ કિ.મી. જેટલું અંતર કાપશે.

રાજપીપલાના રાજવી પરિવારના શ્રી રઘુવીરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત અન્ય વિસ્તારના NCC કેડેટ્સ માટે “નૌકા અભિયાનનું જે આયોજન કરાયું છે તે ખૂબ જ પ્રશંનીય કહી શકાય. જેનાથી NCC કેડેટ્સના યુવાનોમાં સાહસ અને શોર્યની ભાવના વધશે અને ભવિષ્યમાં પણ નેવીમાં જવા માટે આ કેમ્પ  ખૂબ જ ઉપયોગી નિવડશે.

NCC ગૃપ હેડ-કવાર્ટરના બ્રિગેડીયર ડી.એસ.રાવતે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, દેવ દિવાળી અને ગુરૂ નાનક જ્યંતિના શુભ અવસરે રાજપીપલામાં કરજણ ડેમ સાઇટ ખાતે “નૌકા અભિયાન-૨૦૨૧” નો શુભારંભ કરાયો છે.

નેવલ વિંગના ૮૫ જેટલા NCC કેડેટ્સ ભાગ લઇ રહ્યાં હોવાની સાથે આ અભિયાન ૧૦ દિવસ સુધી ચાલશે જેમાં એકતા, અનુશાસનની સાથે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ NCC કેડેટ્સના વિદ્યાર્થીઓ એડવેન્ચર, રીવર અને સ્વીમીંગ પણ કરી શકે તે ઉમદા હેતુસર આ આયોજન કરાયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

પ્રારંભમાં ૯-નેવલ યુનિટ, NCC- નવસારીના લેફ.કમાન્ડર અમીત નૈને તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.