Western Times News

Gujarati News

નાનાસાંજા ગામે ગોચરની જમીનમાં વૃક્ષો કાપી નાંખવા બાબતે વિવાદ સર્જાયો

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામે ગ્રામ પંચાયતના સરપંચે ગોચરની જમીનમાં રહેલા વૃક્ષો કપાવી નાંખ્યા હોવાનો ગ્રામ પંચાયતના બે ચુંટાયેલા સભ્યોએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે.નાનાસાંજા ગ્રામ પંચાયતના ચુંટાયેલા બે સભ્યો ભરતભાઈ પટેલ અને કમલેશભાઈ વસાવાએ ઝઘડીયા મામલતદારને લેખિતમાં રજુઆત કરી હતી કે ગામની સર્વે નંબર ૧૬૭ વાળી ગોચરની જમીનમાં બાવળ,લીમડો તેમજ સમડીના કુલ મળીને ૧૪ જેટલા ૨૫ થી ૩૦ વર્ષ જુના વૃક્ષો આવેલા હતા.

આ વૃક્ષોને નાનાસાંજા ગ્રામ પંચાયતના સરપંચ જશવંતભાઈ નટવરભાઈ વસાવા અને સભ્ય રમેશભાઈ છોટુભાઈ વસાવાએ કોઈપણ જાતની પૂર્વ પરવાનગી લીધા વિના તેમજ કોઈપણ સરકારી કચેરીને જાણ કર્યા વિના ગોચરમાં ઉભા રહીને કપાવી નાંખ્યા છે.

આ બે પંચાયત સભ્યોએ રજુઆતમાં વધુમાં જણાવ્યુ હતુ કે તેમણે આ બાબતની જાણ ગ્રામ પંચાયતના તલાટીને પણ કરી હતી.છતાં તલાટી દ્વારા કોઈ તપાસ કરવામાં નથી આવી કે તેમના દ્વારા કોઈ ઉપરી અધિકારીને આ બાબતે જાણ કરવામાં નથી આવી.

તેથી વૃક્ષો કાપવા બાબતે તલાટી પણ સરપંચ સાથે સામેલ હોય તેવો આક્ષેપ કરાયો છે.ઉપરાંત કાપેલ વૃક્ષો વેચી દેવાયા હોઈ તેના તમામ પૈસાની રીકવરી કરીને યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી હતી.આ રજુઆતની નકલ પ્રાન્ત અધિકારી ઝઘડિયા, તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા,ફોરેસ્ટ અધિકારી ઝઘડિયા તેમજ જીલ્લા કલેક્ટર ભરૂચને પણ મોકલવામાં આવી હતી.

નાનાસાંજા ગામે ગોચરની જમીનમાં સરપંચ દ્વારા ગેરકાયદેસર રીતે વૃક્ષો કપાવી નાંખ્યા હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયતના બે ચુંટાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતા સમગ્ર તાલુકામાં આ બાબતે ચકચાર મચી જવા પામી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.