ધુરંધર સાથે સરખામણીથી આલ્ફાને બોક્સ ઓફિસ પર નુકસાન થયાની ચર્ચા
હવે કોઈ પણ સ્પાય ફિલ્મને ધુરંધર સાથે સરખામણીનો સામનો કરવો પડશે
બિહારના પૂર્ણિયામાં આવેલી રૂપબાની સિનેમાના માલિક વિશેક ચૌહાણે આ માન્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી
મુંબઈ,યશરાજ ફિલ્મની પહેલી ફિમેલ લેડ સ્પાય યુનિવર્સ ફિલ્મ સામે ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કોઈ કમાલ બતાવી શકી નથી. તેની પાછળ નિષ્ણાતો તેની ધુરંધર સાથેની સરખામણીને કારણ માને છે. ધુરંધર આવ્યા પછી ઓડિયન્સનો ટેસ્ટ ઘણો બદલાઈ ગયો છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે જણાવ્યું, “ધુરંધર પછીસ સ્પાય થ્રિલર ફિલ્મો પ્રત્યેની વિચારસરણી, ખાસ તો પાકિસ્તાની એંગલ માટે, ખાસ બદલાઈ ગઈ છે.
લોકોનાં વિચારો બદલાઈ ગયાં છે અને એ એમના પ્રતિસાદમાં દેખાય પણ છે.”જ્યારે ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહને એક નિવેદનમાં જણાવ્યું છે, “સ્પાય યુનિવર્સ માટે કેટલીક નકારાત્મકતા ફેલાયેલી છે. ઇન્ટરનેટ પર કેટલાક ચોક્કસ જૂથ આ ફિલ્મને ખરાબ ચીતરવાના સતત પ્રયત્ન કરે છે. એમનો દાવો છે કે આ ફિલ્મમાં પાકિસ્તાન તરફ કૂણું વલણ રખાયું છે. વધારે તો લોકો આ ફિલ્મની ધુરંધર સાથે સરખાણી કરે છે. તો બે ફિલ્મની સરખામણી કરવી બિલકુલ નિરર્થક છે. કમનસીબે કેટલાંક કારણોથી ફિલ્મ પાછી ઠેલાઈ ગઈ. ફિલ્મના ટીઝરને જ જોઈએ એવો પ્રતિસાદ મળ્યો નહોતો.”
બીજી તરફ તેમણે કહ્યું, “‘ધુરંધર’ સાથેની સરખામણીથી તમે બચી શકતા નથી. તે હંમેશા તમારી સામે જ રહેશે. જ્યારે પણ લોકો સ્પાય યુનિવર્સની વાત કરશે, ત્યારે સૌથી પહેલી સરખામણી ‘ધુરંધર’ સાથે જ થશે. ‘ધુરંધર’ જેવી ફિલ્મ જીવનમાં એક જ વાર બને છે. તેણે વાર્તા કહેવાની શૈલીને નવી વ્યાખ્યા આપી છે અને તેનું યોગ્ય રીતે જતન થવું જોઈએ. તેણે એક નવો માપદંડ સ્થાપિત કર્યાે છે.”બીજી તરફ, બિહારના પૂર્ણિયામાં આવેલી રૂપબાની સિનેમાના માલિક વિશેક ચૌહાણે આ માન્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. તેમણે કહ્યું, “આ ખુબ જ સંકુચિત દૃષ્ટિકોણ છે, જે સોશિયલ મીડિયા પર એવા લોકો ફેલાવે છે જેમને ફિલ્મ બિઝનેસ વિશે જરા પણ સમજ નથી.
શું લોકો ‘આલ્ફા’ જોવા માટે મોટી સંખ્યામાં આવ્યા નહોતા? ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે ફિલ્મનું ઓપનિંગ ૪ કરોડ રહેશે, પરંતુ તેણે રિલીઝના દિવસે લગભગ ૧૦ કરોડની કમાણી કરી. ફિલ્મ વિશેના રિપોટ્ર્સ સારા નથી, છતાં તે દર્શકોને થિયેટર સુધી આવતા રોકી શક્યા નથી. થિયેટરમાં આવનારા દર્શકોએ એવો કોઈ સંકલ્પ નથી લીધો કે, ‘અમે તો માત્ર ‘ધુરંધર’ લેવલની જ ફિલ્મ જોઈશું.’ ‘ધુરંધર’ હવે પુરી થઈ ગઈ છે. તે હવે તેમના મનમાંથી પણ નીકળી ગઈ છે. તેમને માત્ર એવી નવી ફિલ્મ જોઈએ છે જે તેમને ઉત્સાહિત કરે.”તેમણે આગળ કહ્યું, “થિયેટરમાં આવતો દર્શક શિકારની શોધમાં નીકળેલા ભુખ્યા જાનવર જેવો હોય છે.
જે પણ નવો શિકાર તેને આકર્ષક લાગશે, લોકો તેના પર તુટી પડશે અને તેની ભુખની કોઈ મર્યાદા નથી. પરંતુ શિકાર આકર્ષક હોવો જોઈએ. દર્શકોને લાગવું જોઈએ કે, ‘આવો સ્વાદ તો ઘણા સમયથી ચાખ્યો નથી.’ જો તમે તેમને વારંવાર એક જ પ્રકારનું ભોજન પીરસશો, તો તેઓ કંટાળી જશે. દરરોજ કંઈક નવું પીરસશો તો બધું સારું રહેશે. એક જ વસ્તુનું પુનરાવર્તન થિયેટરના બિઝનેસને બરબાદ કરી નાખે છે.”નિર્માતા અને જાણીતા ફિલ્મ બિઝનેસ વિશ્લેષક ગિરીશ જોહર પણ આ વાત સાથે સહમત થયા. તેમણે કહ્યું, “વીકએન્ડના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયા પર થયેલી ટ્રોલિંગની ફિલ્મ પર કોઈ અસર પડી નથી. SS1
