Western Times News

Gujarati News

વિનય મોહન ક્વાત્રા ભારતના આગામી વિદેશ સચિવ હશેઃ સરકારે મંજૂરી આપી

નવીદિલ્હી, દેશના આગામી વિદેશ સચિવ માટે વિનય ક્વાત્રાના નામ પર મહોર લાગી ગઈ છે. ક્વાત્રા વર્તમાનમાં નેપાળમાં ભારતના રાજદૂત છે. ક્વાત્રા હર્ષવર્ધન શ્રૃંગલાની જગ્યા લેશે, જે એપ્રિલના અંતમાં નિવૃત્ત થવાના છે. વિદેશ મંત્રાલય દ્વારા આપેલી માહિતી પ્રમાણે કેબિનેટની અપોઈન્ટમેન્ટ કમિટીએ નવા વિદેશ સચિવ તરીકે વિનય ક્વાત્રાના નામને મંજૂરી આપી દીધી છે.

વિદેશ સેવામાં ૩૨ વર્ષથી વધુનો અનુભવ રાખનાર વિનય ક્વાત્રા જિનેવામાં ભારતના સ્થાયી મિશન સિવાય ચીન, દક્ષિણ આફ્રિકા અને ઉઝ્‌બેકિસ્તાનમાં રાજદ્વારી તરીકે પોતાની સેવા આપી ચુક્યા છે. માનવામાં આવે છે કે ચીન અને અમેરિકા સાથે સંવાદનો ક્વાત્રાને લાંબો અનુભવ છે. ક્વાત્રા પ્રધાનમંત્રી કાર્યાલયમાં સંયુક્ત સચિવ પદ પર રહી ચુક્યા છે.

વિનય મોહન ક્વાત્રા એવા સમય પર વિદેશ સચિવનું પદ સંભાળવા જઈ રહ્યા છે, જ્યારે ડિપ્લોમેટિક સ્તર પર ભારતની સામે ઘણા પડકારો છે. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. શ્રીલંકામાં આર્થિક સંકટ છે, પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા જાેવા મળી રહી છે. આ સ્થિતિમાં વિનય મોહન ક્વાત્રાના ખભા પર ભારતની ડિપ્લોમેટિક લાઇનને યોગ્ય દિશા આપવાની જવાબદારી હશે.

વિનય ક્વાત્રા વિશે કહેવામાં આવે છે કે ચીન અને અમેરિકા સાથે ડીલ કરવાનો તેમની પાસે ઘણો અનુભવ છે અને વૈશ્વિક સ્તર પર આ બંને દેશ આ સમયે ચિંતાનું કારણ બનેલા છે. એક તરફ ચીન રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયાનું સમર્થન કરી રહ્યું છે તો બીજીતરફ અમેરિકા રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવી રહ્યું છે.

વિનય ક્વાત્રા પર ભારત-ચીન અને રશિયાના સંબંધોને સંતુલિક બનાવી રાખવા અને રાષ્ટ્રહિતને આગળ વધારવાની જવાબદારી હશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.