Western Times News

Gujarati News

ચોટીલાનાં 5 ગામમાં પાણીની ગંભીર સમસ્યા: 300થી વધુ પરિવારો ઘર છોડવા મજબૂર બન્યા

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના ચોટીલામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા સર્જાતાં પાંચથી વધુ ગામોના 300થી વધુ પરિવારો એક હજારથી વધુ પશુઓ સાથે ગામ છોડી સામૂહિક હિજરત કરવા મજબૂર બન્યા છે.

હાલમાં આ ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને મહિલાઓને પીવાના પાણીની એક-એક બુંદ માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદાના નીરનો સૌથી વધુ લાભ મળ્યો હોવાની સરકાર દ્વારા ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. ત્યારે વાસ્તવિકતા કંઈક જુદાં જ દૃશ્યો બતાવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં જસાપર , નાનયાણી, નાના કાંધાસર, સાંગાણી, રાજાવડ અને નાની મોરસલ સહિતનાં ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે.

આ ગામોમાં બોર અને કૂવાના પાણી તળિયે ચાલ્યા ગયા છે, જેને કારણે ઉનાળાની શરૂઆતમાં જ પાણીના પોકારો શરૂ થઇ ગયા છે.

પાણી સમસ્યાને કારણે પાંચ ગામના 300થી વધુ પરિવારો હિજરત કરી આણંદ, નડિયાદ અને ધોળકા તરફ ચાલ્યા ગયા છે. એને કારણે ગામો ખાલીખમ લાગી રહ્યાં છે.

ગામડામાં હોંશે હોંશે બનાવેલાં પાકાં મકાનો બંધ કરી માલધારી સમાજના લોકોને અન્ય ગામોમાં પીવાના પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.

તેમ છતાં તંત્રના સરકારી બાબુઓ કે રાજકારણીઓના પેટનું પાણી પણ હાલતું નથી. આ ગામોમાં મોટા ભાગે લોકો ઘરોને બંધ કરી સરસામાન સાથે હિજરત કરી ગયા છે અને ઘરની બહાર આડા કાંટા મૂકી પોતાના આશરાને છોડી ચાલ્યા જવું પડ્યું છે અને સારો વરસાદ થયા બાદ આ પરિવારો માદરે વતન પોતાના ઘરે પાછા ફરશે.

છેલ્લાં 25 વર્ષ કરતાં વધુ સમયથી પીવાના પાણીની આ વિકટ સમસ્યા જેમની તેમ યથાવત્ છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવે અને પીવાના પાણીની આ વિકટ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે એવી વ્યાપક માગ આ ગામોના લોકોએ ઉઠાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.