Western Times News

Gujarati News

શ્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. ૬૪૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર પ૪ કિમી માર્ગના ૬ લેનનું લોકાર્પણ કર્યુ

માર્ગ-મકાન મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતી 
ગુજરાતમાં રોડ-રેલ-એર કનેક્ટીવીટીના બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરને કારણે દેશ-દુનિયાના લોકો ઉદ્યોગ-વેપાર-રોકાણ માટે

ગુજરાત પર પસંદગી ઉતારે છેઃ-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

-ઃ શ્રી ભૂપેન્દ્ર પટેલ:-
વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિનો-વિકાસની સ્પર્ધાનો યુગ શરૂ કર્યો
 ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત એ હવે સૌએ સ્વીકાર્યુ છે
 વિકાસ માટે શિક્ષણ-સ્વાસ્થ્ય અને શાંતિને ગુજરાતમાં અગ્રતા આપી છે
 છેવાડાના ગામો-અંતરિયાળ વિસ્તારોને પણ રોડ કનેક્ટીવીટીથી પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનામાં જોડયા
છે
 રાજ્યમાં બે દાયકામાં ૧૩૭૦૦ કિલોમીટર ગ્રામ માર્ગોના રૂ. ૪૦૮૬ કરોડના કામો પ્રધાનમંત્રી ગ્રામીણ સડક
યોજનામાં થયા છે

 

આ ૬ માર્ગીય રસ્તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના લાખો નાગરિકોને અવરજવર માટે એક સેતુરૂપ સાબિત થશે -:મંત્રી શ્રી પૂર્ણેશ ભાઈ મોદી
……..

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, દેશ અને દુનિયાના લોકો ઉદ્યોગ-વેપાર રોકાણો માટે ગુજરાત પર
પસંદગી ઉતારે છે તેના મૂળમાં રાજ્યની સુદ્રઢ કનેક્ટી વિટી છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે રેલ, રોડ, એર કનેક્ટીવિટીનું જે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે તેણે રાજ્યના વિકાસને રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૬૪૯ કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપૂર-વાસદ પ૪ કિલોમીટર રસ્તાની પૂર્ણ થયેલી સિક્સલેન કામગીરીનું લોકાર્પણ કર્યુ હતું.

રાજ્યના માર્ગ-મકાન વિભાગે આ બગોદરા-તારાપૂર-વાસદ ના સમગ્ર માર્ગને ૬ લેન કરવાનો પ્રોજેક્ટ બે પેકેજમાં હાથ ધરવાનો નિર્ણય કરીને તારાપૂર-વાસદ માર્ગની રૂ. ૧૦૦પ કરોડના ખર્ચે ૬ લેન કામગીરી ઓક્ટોબર-ર૦ર૧માં પૂર્ણ કરી દીધી હતી.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતીમાં આજે આ માર્ગના પેકેજ-૧ ની રૂ. ૬૪૯ કરોડના ખર્ચે પૂર્ણ થયેલી બગોદરા થી તારાપૂરના પ૪ કિલોમીટર માર્ગની ૬ લેન કામગીરીનું લોકાર્પણ સંપન્ન કર્યુ હતું. શ્રી ભૂપેન્દ્ર

પટેલે ઉમેર્યુ કે, ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં વિકાસને નવી ગતિ આપીને નીત નવા સિમાચિન્હો હાંસલ કરી રહ્યું છે. વિકાસની રાજનીતિથી છેવાડાના અંતરિયાળ ગામોના લોકોને પણ રોડ-રસ્તા, પાણી, શિક્ષણ આરોગ્ય જેવી સુવિધાથી સાંકળી લઇને વિકાસ કોને કહેવાય તે આપણે લોકોને બતાવી દીધુ છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, હવે લોકોએ પણ ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત એ વાત સ્વીકારી લીધી છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ વિકાસની સ્પર્ધાનો યુગ શરૂ કરાવ્યો છે અને છેક છેવાડાના
માનવી સુધી સુખ, સુવિધા પહોચાડવાના કરોડો રૂપિયાના વિકાસ કામોથી લોકોને સાંકળ્યા છે. વિકાસની પ્રાથમિક શરત એવી
ત્રણ મુખ્ય બાબતો શિક્ષણ, સ્વાસ્થ્ય અને શાંતિને પણ સરકારે અગ્રતા આપી છે, એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ગ્રામીણ ક્ષેત્રોને પણ પાકા રસ્તાની સુવિધા આપવા પ્રધાનમંત્રી ગ્રામીણ સડક
યોજનામાં ૧૩૭૦૦ કિલોમીટરના ગ્રામ માર્ગોના રૂ. ૪૦૮૬ કરોડના કામો બે દાયકામાં પૂર્ણ કર્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજકોટ હાઇવે ૬ લેન થઈ રહ્યો છે, સરખેજ-ગાંધીનગર હાઇવે ૬ લેન બનવાની તૈયારીમાં છે
અને ગામડાઓને પણ વધુમાં વધુ રોડ કનેક્ટિવિટીથી જોડવામાં આવી રહ્યા છે.

કોરોના મહામારીમાં પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતનો વિકાસ અટક્યો નથી. શ્રી નરેન્દ્રભાઇ
મોદીએ દેશની આર્થિક વ્યવસ્થાની સાથો સાથ દરેકના જીવનનું પણ પૂરતું ધ્યાન રાખ્યું છે, તેના કારણે જ સમગ્ર વિશ્વમાં
વિઝનરી લીડર તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રસ્થાપિત થયા છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું કે, આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ઝોનમાં આનંદ
અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું છે. બગોદરાથી તારાપુર ૫૪ કિલોમીટરના છ માર્ગીય રસ્તાનું લોકાર્પણ થકી ગુજરાતના
વિકાસની હરણફાળનું વધુ એક ઉદાહરણ આજે આપણી સૌ સમક્ષ છે.
આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાસદથી તારાપુર ૪૭ કિલોમીટર અને તારાપુરથી બગોદરા ૫૪ કિલોમીટર
એમ બે ભાગમાં કુલ ૧૦૧ કિલોમીટરનો રોડ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે. આ રસ્તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના
લાખો નાગરિકોને અવરજવર માટે એક સેતુરૂપી સાબિત થવાનો છે.

શ્રી પૂર્ણેશભાઈ મોદીએ વધુમાં જણાવ્યું કે, વિકાસપુરૂષ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ
લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આપણા સૌની ગુજરાત સરકારનો માર્ગ અને મકાન વિભાગ ૪ અને ૬
માર્ગીય રસ્તાના ઝડપથી નિર્માણની નેમ સાથે આગળ વધી રહ્યો છે.

રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટીવિટીને સુદ્રઢ કરવાની નેમ સાથે માર્ગ અને મકાન મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આવનારા
સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે વિખુટા પડી જતા હોય તેવા ગામોમાં કોઝ-વે વિયર, આઝાદીકા
અમૃત મહોત્સવ અંતર્ગત ડામરનો રસ્તો ન હોય તેવા ગામોમાં આઝાદી બાદ પ્રથમવાર પાકા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે.
પૂર્વ શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું, આજે આપણે જે વિકાસ જોઈ રહ્યા
છીએ તેનો પાયો ભાજપના શાસનમાં શ્રી કેશુભાઈ પટેલે નાખ્યો હતો.

તેમણે ઉમેર્યું કે, શ્રી કેશુભાઈ પટેલે વિકાસનો જે પાયો નાખ્યો હતો તેને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આધુનિકતાનો ઓપ
આપ્યો હતો. ત્યારબાદ શ્રી આનંદીબેન પટેલ તેને વેગ આપ્યો, શ્રી વિજયભાઈ રૂપાણીએ ગતિ આપી અને હવે આજે શ્રી
ભૂપેન્દ્ર પટેલ તેની પ્રગતિ આપી રહ્યા છે.
માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી એસ.બી વસાવાએ સ્વાગત પ્રવચન આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ
ગુજરાત તેમજ કચ્છને જોડતો આ છ માર્ગીય રસ્તો પરિવહનને સરળ બનાવશે.
તેમણે ઉમેર્યું કે રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૪ અને ૬ લેન કરવાની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી
છે, આમ સમગ્ર રાજ્યના અંતરિયાળ વિસ્તારને પરિવહન થકી જોડવાનું કામ થઈ રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, બગોદરા – તારાપુર છ માર્ગીય રસ્તો સૌરાષ્ટ્ર ઝોનને અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને
જોડતા સૌથી ટૂંકા છ માર્ગીય રસ્તાનો અનુભાગ છે. આ રસ્તા ઉપર ત્રણ મોટા પુલ, એક રેલવે ઓવરબ્રિજ, એક નાનો પુલ,
૧૪ અંડરપાસ, ૧૯ કિલોમીટર સર્વિસ રોડ, ૧ ટોલ પ્લાઝા તેમજ અત્યાધુનિક એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમની સજ્જ
આ છ માર્ગીય રસ્તો છે.

તદુપરાંત ૩૨ બસ સ્ટેન્ડ, હાઇટેક કેમેરા સાથેની સર્વેલેન્સ સિસ્ટમ, સ્પીડ ડિસ્પ્લે સિસ્ટમ તેમજ વેરિયેબલ મેસેજ
ડિસ્પ્લે સિસ્ટમનો ઉપયોગ આ છ માર્ગીય રસ્તાઓ પર કરવામાં આવ્યો છે.
આ અવસરે સર્વે ધારાસભ્ય શ્રી બાબુભાઇ પટેલ, મયુરભાઈ રાવલ, જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાગલે, જિલ્લા વિકાસ
અધિકારી શ્રી અનિલ ધામેલિયા સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત
રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.