Western Times News

Gujarati News

મણિનગરમાં તોતીંગ વૃક્ષ ધરાશાયી

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને આકાશ કાળા ડીંબાગ વાદળોથી છવાયેલું છે ત્યારે શહેરમાં તોફાની પવન પણ ફુંકાઈ રહયો છે ત્યારે ઝાડો પડવાની ઘટનાઓ ઘટી રહી છે મોડી રાત્રે શહેરના મણિનગર વિસ્તારમાં વલ્લભવાડી પાસે તોતીંગ ઝાડ ધરાશાયી થતાં માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે જેના પરિણામે વાહન ચાલકોને ત્યાંથી પસાર થવા દેવામાં આવતા નથી ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ તથા મ્યુનિ. કર્મચારીઓ પહોચી ગયા છે અને ઝાડને કાપી તેને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વાયુ વાવાઝોડાના પગલે ગુજરાતભરમાં તકેદારીના તમામ પગલાં ભરવામાં આવ્યા છે એટલું જ નહી પરંતુ દરિયા કિનારાના વિસ્તારોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ તેની અસર રાજયભરમાં જાવા મળી રહી છે રાજયના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે આ ઉપરાંત મોટાભાગના વિસ્તારોમાં તોફાની પવન ફુંકાઈ રહયો છે રાજયના અનેક સ્થળોએ તોફાની પવનના કારણે વ્યાપક નુકસાન થયું છે અને ઝાડો પણ ધરાશાયી થઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

વાયુ વાવાઝોડાના પગલે અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલ્ટો આવેલો છે છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં આકાશ વાદળછાયુ બની ગયુ છે અને છુટાછવાયા વરસાદના ઝાપટા પડવા લાગ્યા છે જાકે શહેરીજનોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે પરંતુ તોફાની પવનના કારણે ઝાડો ધરાશાયી થવાની ઘટનાઓ શહેરમાં બની રહી છે

રસ્તા પર જ ઝાડ પડતાં વાહન વ્યવહાર બંધ કરાવાયો : ઝાડ ખસેડવાની કામગીરીનો પ્રારંભ

જેમાં એક મહિલાનો પણ ભોગ લેવાયો છે શહેરમાં ગઈકાલ સાંજથી તોફાની પવન ફુંકાવાનો શરૂ થતાં તંત્ર એલર્ટ થયું હતું આ દરમિયાનમાં મોડી રાત્રે અમદાવાદ શહેરના જવાહરનગર મણિનગર રોડ પર વલ્લભવાડી પાસે એક વિશાળ ઝાડ તોફાની પવનના કારણે ધરાશાયી થઈ ગયુ ંહતુ જાકે સદનસીબે કોઈ જાનહાની કે કોઈને ઈજા થઈ ન હતી આ ઘટનાની જાણ ફાયરવિભાગને કરવામાં આવતા જ ફાયરબ્રિગેડ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર જવા રવાના થઈ ગયા છે અને બપોર સુધીમાં આ તોતીંગ ઝાડને કાપીને રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે.

રસ્તા પર જ તોતીંગ વૃક્ષ ધરાશાયી થતાં એકબાજુનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને વાહન ચાલકોને અન્ય રસ્તેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેના પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાયા છે.

અમદાવાદ શહેરમાં તોફાની પવનના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે મ્યુનિ. તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેના પરિણામે તોતીંગ હોડિંગ્સો તથા ભયજનક ઝાડોના કારણે દુર્ઘટના સર્જાવાની દહેશત સેવાઈ રહી છે શહેરના મણિનગર વિસ્તારમાં તોતીંગ વૃક્ષ ધરાશાયી થયું છે ત્યારે સદ્‌નસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ કોર્પોરેશનનું તંત્ર સફાળુ નહી જાગે તો મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.