Western Times News

Gujarati News

દિવસમાં ૨૦ વાર બંધ થશે બોટાદ લાઈન પરના ક્રોસિંગ

પ્રતિકાત્મક

અમદાવાદ, પશ્ચિમ રેલવેએ ભાવનગરથી સાબરમતી વચ્ચે પહેલી ઈન્ટરસિટી ટ્રેન રવિવારથી શરુ કરી દીધી છે. આ ટ્રેન અમદાવાદ શહેરમાંથી આશ્રમ રોડની સમાંતર આવેલા ટ્રેક પરથી પસાર થશે. જાેકે, તેના કારણે અમદાવાદના નવરંગપુરા, ઉસ્માનપુરા, નારણપુરા જેવા વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા વકરવાની પૂરી શક્યતા છે.

હાલ આ ટ્રેક પર ગાંધીગ્રામ-બોટાદ-સાબરમતી લોકલ પણ દોડે છે, સવારે અને સાંજે આ ટ્રેન નીકળે ત્યારે પણ શહેરમાં ટ્રાફિકજામના દ્રશ્યો જાેવા મળતા હોય છે. જાેકે, આવનારા દિવસોમાં આ લાઈન પર વધુ મેલ-એક્સપ્રેસ તેમજ માલગાડીઓ દોડાવાની તૈયારી થઈ રહી છે. ભાવનગરથી સવારે છ વાગ્યે રવાના થનારી આ ટ્રેન ૧૦.૩૦ કલાકે સાબરમતી પહોંચશે.

ત્યારબાદ આ જ ટ્રેન વળતા સાંજે ચાર વાગ્યે સાબરમતીથી રવાના થઈ સાંજે ૮.૩૦ કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેનને સપ્તાહના તમામ સાત દિવસ દોડાવવામાં આવશે. જાેકે, ટ્રેનને કારણે રોજ સવારે ૯.૫૦ કલાકથી ૧૦.૩૦ કલાક દરમિયાન શહેરના છ રેલવે ક્રોસિંગ પર ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળશે.

બીજી તરફ, ભાવનગરમાં પણ સાંજે ૮ વાગ્યાથી ૮.૩૦ કલાકના ગાળામાં ટ્રાફિકજામ થશે. આ ટ્રેન ગાંધીગ્રામ-વસ્ત્રાપુર-સરખેજ રુટ પરથી પસાર થવાની છે. અમદાવાદ-ભાવનગરને કનેક્ટ કરતી રેલવે લાઈન અમદાવાદની વચ્ચોવચથી પસાર થાય છે. અગાઉ આ લાઈન પર મીટરગેજ ટ્રેન દોડતી હતી, જેને બ્રોડગેજમાં કન્વર્ટ કરવામાં આવી છે.

જૂન ૨૦૨૨થી આ ટ્રેક પર ટ્રેન ફરી શરુ થઈ છે. ભાવનગર-અમદાવાદ ઈન્ટરસિટી અમદાવાદ-યોગનગરી ઋષિકેશ ટ્રેન સાથે સાબરમતીથી કનેક્ટ થશે. રેલવે અધિકારીઓનું માનીએ તો કોર્પોરેશનનું હાલ આ લાઈન પર આવતા ક્રોસિંગ પર બ્રિજ બનાવવાનું કોઈ આયોજન નથી.

જેના કારણે નવરંગપુરા પોલીસ સ્ટેશન, સંઘવી હાઈસ્કૂલ અને વિજયનગરમાં ટ્રાફિક થશે. રવિવારથી શરુ થયેલી ઈન્ટરસિટી નારણપુરા, નવરંગપુરા, પાલડી અને સરખેજમાંથી પસાર થવાની છે. ટ્રાફિક કનસ્લ્ટેટિવ કમિટિના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સાબરમતીથી સરખેજ વચ્ચે ૧૦ મોટા ક્રોસિંગ આવે છે. આ તમામ સ્પોટ પર ભારે ટ્રાફિક જામની શક્યતા છે. ૨૦૧૮-૧૯માં આ લાઈનને બ્રોડગેજમાં કન્વર્ટ કરવાનું શરુ કરાયું ત્યારે જ રેલવેએ કોર્પોરેશનને આ અંગે ચેતવણી આપતા ક્રોસિંગો પર અંડરપાસ કે ઓવરબ્રિજ બનાવવા સૂચના આપી હતી.

એક સિનિયર રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર, પાંચ મેઈલ અને એક્સપ્રેસ ટ્રેનો (અપ અને ડાઉન) તેમજ તેટલી જ માલગાડીઓ આ લાઈન પરથી પસાર થવાની શક્યતા છે. જેના કારણે આ રુટ પર આવતા રેલવે ક્રોસિંગ દિવસમાં ૨૦ વાર કમસે કમ ૧૦ મિનિટ માટે બંધ થશે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરશે. અમદાવાદ-સરખેજ રુટ પર ૩૨ નાના-મોટા લેવલ ક્રોસિંગ આવેલા છે, જેમાં સાબરમતી-ગાંધીગ્રામ વચ્ચે આવેલા ક્રોસિંગની સંખ્યા ૧૬ જેટલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.