Western Times News

Gujarati News

ભૂલથી સરહદ પાર કરનારા ગુજરાતના ૫૬૦ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ

પ્રતિકાત્મક

ગાંધીનગર, પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીની બોટ ઈન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર પાસે પેટ્રોલિંગ કરતી રહે છે. કોઈ ભારતીય માછીમાર ભૂલથી પણ સરહદ પાર કરે કે તરત જ તેને પકડી લે છે. પાકિસ્તાનના માછીમારો પણ ક્યારેક સરહદ પાર કરીને ભૂલથી ભારત આવી જાય છે, જેમની ભારતીય એજન્સીઓ દ્વારા ધરપકડ કરવામાં આવે છે. સામાન્ય રીતે માછીમારો સારી સંખ્યામાં માછલી પકડવાના લોભમાં ભૂલથી સરહદ પાર કરી જતા હોય છે. આ અંગે ગુજરાત સરકારે વિધાનસભામા આંકડો રજૂ કર્યો હતો.

ગુજરાત સરકારે વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું છે કે, ગુજરાતના ૫૬૦ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. આ માછીમારો ભૂલથી સરહદ પાર કરી ગયા હતા અને પાકિસ્તાની સેનાના હાથે ઝડપાઈ ગયા હતા. આ અંગે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. જેના જવાબમાં ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધી ગુજરાતમાંથી કુલ ૫૬૦ માછીમારો પાકિસ્તાનની કસ્ટડીમાં છે.મંત્રીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં આ ૨૭૪માંથી અડધાની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૨૧માં ગુજરાતમાંથી ૧૯૩ માછીમારો પાકિસ્તાને પકડ્યા અને ૨૦૨૨માં ૮૧ માછીમારો પાકિસ્તાને પકડ્યા હતા.

છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાન દ્વારા ૫૫ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા -જેમાંથી ૨૦ માછીમારોને ૨૦૨૧માં અને ૨૦૨૨માં ૩૫ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન દ્વારા પકડાયેલા માછીમારોના પરિવારોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયના જવાબમાં ગુજરાત સરકારે માહિતી આપી હતી કે, પાકિસ્તાનની જેલમાં બંધ ૩૨૩ માછીમારોના પરિવારોને દરરોજ રૂ.૩૦૦ની સહાય આપવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૧માં ૩૦૦ પરિવારોને આ આર્થિક સહાય આપવામાં આવી હતી અને ૨૦૨૨માં ૪૨૮ પરિવારોને આ આર્થિક સહાય આપવામાં આવી હતી. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.