Western Times News

Gujarati News

ખાલિસ્તાની સમર્થક ટ્‌વીટર હેન્ડલ પર ભારતમાં પ્રતિબંધ

નવી દિલ્હી, પંજાબમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે ભારત સરકારે વિદેશમાં બેસીને સોશિયલ મીડિયા પર ખાલિસ્તાની એજન્ડા ચલાવનારાઓ સામે પણ કાર્યવાહી શરૂ કરી છે.

ભારતમાં આવા ઘણા ટિ્‌વટર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેની મદદથી ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં આવી રહ્યું હતું. ખાસ વાત એ છે કે તેમાં કેનેડાના સાંસદ અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહનું એકાઉન્ટ પણ સામેલ છે.

જગમીત લાંબા સમયથી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ભારત વિરોધી એજન્ડા ચલાવી રહ્યા છે. કેનેડિયન સાંસદ ઉપરાંત, આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સમાં યુનાઈટેડ શીખ ઓર્ગેનાઈઝેશન અને કેનેડાના ગુરદીપ સિંહ સહોતાનું ટિ્‌વટર એકાઉન્ટ પણ સામેલ છે.

તાજેતરમાં ખાલિસ્તાન સમર્થકોએ બ્રિટનની રાજધાની લંડન અને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ભારતીય હાઈ કમિશન અને કોન્સ્યુલેટ પર હુમલો કર્યો હતો. લંડનમાં ભારતીય હાઈ કમિશનની સામે પ્રદર્શન દરમિયાન ખાલિસ્તાન સમર્થકો હાઈ કમિશનની ઈમારત પર ચઢી ગયા હતા અને ભારતીય ધ્વજ નીચે ખેંચી લીધો હતો.

જ્યારે ખાલિસ્તાનીઓએ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કર્યો હતો. આ તમામ ઘટના પંજાબમાં અલગતાવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી બાદ બની હતી. વાસ્તવમાં પંજાબમાં પોલીસે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. તેના લગભગ ૧૧૨ સમર્થકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અમૃતપાલ ધરપકડના ડરથી ભાગી ગયો છે.

પંજાબ પોલીસની અનેક ટીમો અમૃતપાલની શોધમાં અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી રહી છે. આ સમયે સમગ્ર પંજાબ હાઈ એલર્ટ પર છે. દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે. આ કાર્યવાહી બાદ જ દેશ-વિદેશમાં બેઠેલા ખાલિસ્તાન સમર્થકોમાં રોષ ભભૂકી ઉઠ્‌યો છે.

એટલા માટે તેઓએ વિદેશી ધરતી પર ભારતના હાઈ કમિશન અને એમ્બેસીને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ભારતીય હાઈ કમિશનરમાં ખાલિસ્તાનીઓના ઉપદ્રવ પછી, ભારતે હવે જડબાતોડ જવાબ આપ્યો છે.

રવિવારે ખાલિસ્તાનીઓએ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાંથી ભારતીય ત્રિરંગો ફેંકી દીધો હતો. જાે કે હવે પહેલા કરતા પણ મોટો તિરંગો લહેરાવીને ખાલિસ્તાનીઓના મોઢા પર જાેરદાર તમાચો ચોડ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા રવિવારે ઘણા વીડિયો સામે આવ્યા હતા.

આ વીડિયોમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે કેવી રીતે લંડનમાં ભારતીય હાઈ કમિશનર પાસેથી તિરંગો હટાવી દેવામાં આવ્યો. તિરંગાની જગ્યાએ ખાલિસ્તાની ઝંડો લગાવવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.