Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પાટણમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં રોટલા-રોટલીઓના ઢગલા થયા

પાટણ, પાટણમાં જીવદયા પ્રેમીઓ દ્વારા રોટલીયા હનુમાનજીની સ્થાપના કરવામાં આવી હતી. મુંગા જીવો માટે દાનના ઉદ્દેશ્ય સાથે આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઘરે બનાવેલા રોટલા કે રોટલીનું જ દાન આ રોટલીયા હનુમાનદાદાએ કરવામાં આવે તેવુ આયોજન કરવામાં આવ્યુ હતુ. Patan Kirtidan Gadhvi Dayro

અહીં ચઢાવેલા રોટલા રોટલીનું દાન એકત્રીત કરી પાટણ શહેર તેમજ આસપાસના ગામોમાં સુધી પહોંચાડવામાં આવે અને મુંગા પશુઓની ભૂખ સંતોષાય તેવા હેતુથી આ શુભકાર્ય કરવામાં આવ્યુ છે.રોટલીયા હનુમાનદાદાની સ્થાપનાનું એક વર્ષ પૂર્ણ થતા ખાસ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ડાયરો જાણીતા સંગીતકાર કીર્તીદાન ગઢવીના સુંદર સુરથી સાંભળવા પણ પાટણવાસીઓ આતુર બન્યા હતા. જેથી આ ડાયરામાં પ્રવેશ માટે પણ લોકોને ખાસ સૂચન હતું. આ ડાયરામાં પ્રવેશ ટિકિટ માટે કોઇ રુપિયા આપીને નહિ પરંતુ ઘરેથી ૧૦ રોટલી કે એક રોટલો બનાવીને સાથે લાવવો અને ડાયરામાં પ્રવેશ મેળવવાની અનોખી વ્યવસ્થા કરવામાં આવી હતી.

રોટલીયા હનુમાનદાદાના ડાયરા માટે આવનાર જાણીતા સંગીતકાર કીર્તિદાન ગઢવી પણ પોતે ઘરેથી રોટલા અને રોટલીનો પ્રસાદ સાથે લઇ આવ્યા હતા. પાટણ ખાતે યોજીયેલ કીર્તિદાન ગઢવીના ડાયરામાં આશરે ૧૫ હજારથી વધુ જનમેદની ઉમટી હતી અને તમામ લોકો પોતાના ઘરેથી રોટલા રોટલીઓ લઇને ડાયરાની મોજ માણી જીવદયા પ્રેમ પણ દાખવ્યો હતો.

ડાયરાના મંચ પર કીર્તિદાન ગઢવી પર જયાં એકબાજુ નોટોનો વરસાદ ચાલુ હતો, ત્યાં બીજીબાજુ મુંગાપશુઓ માટે રોટલા અને રોટલીઓના મોટા ઢગલાં પણ થઇ ગયા હતા અને સંગીતકાર કીર્તીદાન ગઢવી પણ આ રોટલા રોટલીના ઢગલાં ઢંકાઇ ગયા હતા. પાટણમાં રોટલીયા હનુમાનદાદાનો મહિમાં એક જ વર્ષમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers