Western Times News

Gujarati News

જળસંચય અભિયાન આજે ગુજરાતમાં સિંચાઇ ક્ષેત્રે જળક્રાંતિ લાવ્યુ છે: ઋષિકેશ પટેલ

સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું છઠ્ઠુ ચરણ સંપન્ન -મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં શરૂ થયેલ જળસંચય અભિયાનના છઠ્ઠા ચરણમાં 104 દિવસના અંતે 23 હજારથી વધુ કામો પૂર્ણ થયા

પીવાના પાણીનો વપરાશ ધરાવતા 73 જળાશયોમાં 31 મે સુધીમાં 10,500 મિલીયન ઘનફુટ પાણીનો જથ્થો આરક્ષીત રાખ્યા બાદ જળાશયનું વધારાનું પાણી ખેડૂતોની માંગણી આધારીત પ્રિ-ખરીફ સિંચાઇ માટે આપવામાં આવશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ મીડિયા સાથે સંવાદ કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્યમાં 17 ફેબ્રાઆરીથી શરૂ થયેલ સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું છઠ્ઠુ ચરણ આજે 31 મે ના રોજ પૂર્ણ થયું છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર થી શરૂ થયેલ આ અભિયાનમાં કુલ 24,153 કામોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 104 દિવસના અંતે તા. 31 મી મે સુધીમાં 23,860 કાર્યો પૂર્ણ થયા છે.  વધુમાં તેમણે ઉમેર્યુ કે, 104 દિવસના આ મહાઅભિયાન કુલ 12,70,000 જેટલા માનવદિનની રોજગારી મળી છે.

રાજ્ય સરકાર અને સેવાકીય સંસ્થાઓની સહભાગીદારિતા હેઠળની ચેકડેમ રીપેરીંગ 80:20ની યોજના હેઠળ કુલ 161 ચેકડેમના કામો પ્રગતિ હેઠળ છે જે પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ.

તેમણે વધુમાં કહ્યું કે 31-5-2023 પછી નવા કોઇપણ ચેકડેમ રીપેરીંગના કામો શરૂ કરવામાં આવશે નહીં.

મંત્રીશ્રી એ જણાવ્યું કે રાજ્યના નર્મદા યોજના સિવાયના મહત્વના 206 જળાશયોમાં તા. 26-5-2023સુધીમાં આશરે 2 લાખ મિલીયન ઘનફુટ ઉપરાંત જથ્થો સંગ્રહિત થયો છે. જે પૈકી પીવાના પાણીનો વપરાશ ધરાવતા 73 જળાશયોમાં 31 મી મે સુધીમાં 10,500 મિલીયન ઘનફુટ પાણીનો જથ્થો આરક્ષીત રાખ્યા બાદ જળાશયનું વધારાનું પાણી ખેડૂતોની માંગણી આધારીત પ્રિ-ખરીફ સિંચાઇ માટે આપવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે, અગાઉના પાંચ તબક્કામાં રાજયભરમાં  જળસંગ્રહ માટેના ૭૪,૫૧૦ કામો પૂર્ણ થયા છે. જેનાથી જળ સંગ્રહ ક્ષમતામાં ૮૬,૧૯૯ લાખ ઘનફુટ વધારો થયો હતો અને રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૨૬,૯૮૧ તળાવો ઉંડા કરવામાં આવ્યા હતા.

મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.