Western Times News

Gujarati News

આપણે સામૂહિક પ્રયાસોથી વાવાઝોડાની મોટી જાનહાનિ ટાળી છે: આરોગ્યમંત્રી

પ્રતિકાત્મક

મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીના અભિગમના લીધે વાવાઝોડાની આપદામાં કચ્છમાં એક પણ માનવ મૃત્યુ નોંધાયું નથી – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

બિપરજોય વાવાઝોડા નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે : આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ : 

ભુજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા

આજરોજ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે બિપરજોય વાવાઝોડાની હાલની પરિસ્થિતિનો ખ્યાલ આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગના બુલેટિન મુજબ બિપરજોય  સાયક્લોનિક સ્ટોર્મ ભુજથી ૪૦ કી.મી ઉપર છે તથા પુર્વ તથા ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.  જે ૧૬ જુનની રાત્રી સુધીમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે. તેઓએ કોટેશ્વર ખાતે હાલ પવનની ગતિ અંદાજે ૧૨૦ કિમી/કલાક હોવાનું જણાવ્યું હતું.

તેઓએ જિલ્લા વહીવટીતંત્રની તૈયારીઓ અંગે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, સ્થળાંતરનો આંક ૫૪૨૨૯ સુધી પહોંચ્યો છે. જેમાં ૪૦૧૪ બાળકો,૧૩૯૯ વૃદ્ધ, ૫૫ર સગર્ભા મહિલા અને ૪૫૦૯ અગરીયા કામદારોનો પણ‌ સમાવેશ થાય છે.

કચ્છમાં ૧૬ જૂનથી અત્યાર સુધીમાં ૮૮૫ મી.મી. વરસાદ નોંધાયો ‌છે. ભારે વરસાદ અને પવનના લીધે ૬૩ જેટલા રસ્તાઓને અસર થઈ હતી. જોકે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓ ઉપર વૃક્ષો હટવવાની કામગીરી માટે વિવિધ ૨૫ જેટલી ટીમો કાર્યરત છે.  કચ્છમાં વાવાઝોડાના લીધે કોઈ પુલ ક્ષતિગ્રસ્ત થયેલ નથી.

વાવાઝોડાના લીધે રહેણાંક મકાનમાં નુકસાનની વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર કચ્છ જિલ્લામાં ૧૬૭૦ જેટલા કાચા અને ૨૭૫ જેટલા પાકા મકાન અસરગ્રસ્ત થયેલા છે. જે અન્વયે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ મુજબ ૯૪ ટીમો દ્વારા સરવેની રાહતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જિલ્લાના ૩૪૮ મકાનોમાં ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. જ્યારે કોઈ બંદર કે જેટી ક્ષતિગ્રસ્ત થયેલી નથી. આ ઉપરાંત કોઈ જ શીપ બોટને પણ નુકસાન થયું નથી.

કેન્દ્ર અને રાજ્ય સરકારના મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીના અભિગમના કારણે કચ્છ જિલ્લામાં વાવાઝોડાના કારણે કોઈ માનવ મૃત્યુ થયું નથી. તેઓએ આરોગ્યની સુવિધાઓ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ૬૯ પી.એચ.સી., ૩ એસ.ડી.એચ,  ૧૬ સી.એચ.સી. બનાવવામાં આવ્યા છે. આરોગ્ય સુવિધાઓ માટે અન્ય જિલ્લામાંથી ૨૦ મેડીકલ ઓફિસર તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વધારાના ૯૦ ડોકટરની ફાળવણી સાથે આરોગ્ય સારવાર માટે ૧૮૭૪ બેડની વ્યવસ્થા પણ સરકારી તંત્ર દ્વારા કરાઈ છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે, આગોતરા આયોજન થકી કુલ ૫૫૨ સગર્ભાઓને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા, તેમાંથી ૩૮૨ બાળકોનો જન્મ સફળતાપૂર્વક થયેલ છે. ૧૭૫ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીધામમાં પતરૂ ઉડવાથી ૧ તેમજ મુન્દ્રામાં ૫, અંજારમાં મકાન પડવાથી ૨ એમ કુલ ૮ માનવ ઈજાના કેસ નોંધાયા છે.

તમામ કેસોમાં જરૂરી તબીબી સારવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. સમગ્ર જિલ્લામાં ૮૦ હજાર જેટલા વીજપોલ, ૮ સબસ્ટેશન ટ્રાન્સમિશન લાઈન,૧૦૩ જેટલા ફીડર ક્ષતિગ્રસ્ત થયા છે. પીજીવીસીએલ તથા જેટકોની ૧૨૫ જેટલી ટીમો દ્વારા સમારકામ તથા વીજ પુરવઠો પુન:સ્થાપન કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.

કોઈ સોલાર પાર્ક કે વિન્ડ ફાર્મ ક્ષતિગ્રસ્ત થયા નથી. ૮૭ પીવાના પાણીના ટેન્કર અને ૯ ડીવોટરીંગ પંપની વ્યવસ્થા કરવામાં આવી છે. ૫૬ ટેન્કર આશ્રયસ્થાન પર અને તેમજ ૩૫ ટેન્કર અસરગ્રસ્ત ગામો ખાતે, ૪૭ જનરેટર સેટ હેડ-વર્ક્સ ખાતે રાખવામાં આવ્યા છે. ૧૧ વોટર હેડ વર્ક્સ ડાઉન છે. જેના પર ડી.જી. સેટની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

નગરપાલિકા,વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગના સહયોગથી ટીમો દ્વારા તૈયારીરૂપે ૨૭૫ વૃક્ષોનું ટ્રીમીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં ભારે પવનનાં લીધે ૩૨૭૫ જેટલા વૃક્ષ ધરાશાયી થયા છે જેને દૂર કરવાની કામગીરી પણ ચાલુ છે.

આ ઉપરાંત, ૫૮ પશુઓ અબડાસા, ૫ નખત્રાણા, ૬ ભુજ, ૨ ગાંધીધામમાં એમ કુલ ૭૧ પશુ મૃત્યુ જિલ્લામાં થયા છે. જેના સરવે હેતુ પશુ નિરિક્ષક તથા પશુ ચિકિત્સકની માંગણી રાજ્ય સરકાર સમક્ષ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.

રાહત અને બચાવ માટે ૬ NDRF ટીમ(ગાંધીધામ, માંડવી, લખપત, અબડાસા, નખત્રાણા, ભુજ), ૨ SDRF ટીમ (નારાયણ સરોવર, નલીયા), ૪ RPF ટીમની ફાળવવામાં આવી છે. જે હાલની સ્થિતિમાં રાહત બચાવની કામગીરી કરી રહી છે.

વધુમાં, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનાના ડિપ્લોયમેન્ટ બાબતે માહિતી આપતા જણાવ્યું કે ૧૧ કોલમ આર્મી (૧- નલીયા, ૧- માંડવી, ૯ સ્ટેન્ડબાય) રાખવામાં આવી છે તેમજ ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ,બોર્ડર સિક્યોરીટી ફોર્સ તથા એર ફોર્સની ટીમની સાથે ૪ ફાયર ટીમની (લખપત, અબડાસા, માંડવી, ભુજ) અસરગ્રસ્ત તાલુકાઓમાં માંગણી મુજબ ફાળવણી કરવામાં આવી રહી છે.

તેઓએ ખેતીવાડી વિશે માહિતી આપતા જણાવ્યું કે,  કચ્છનો ૩૩ હજાર હેકટર જેટલો વિસ્તાર અસરગ્રસ્ત થયેલ છે. જેના સરવે હેતુ ૧૧૩ ટીમની રચના કરવામા આવી છે.

વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને સરવેની કામગીરી બાબતે મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાહત અને સરવેની કામગીરી માટે શહેરી અને ગ્રામ્યવિસ્તારમાં ૯૪ જેટલી ટીમ કાર્યરત કરવામાં આવી  છે. તથા સરવેની વધુ જરૂરીયાત જણાતા નગરપાલિકા વિસ્તાર માટે કુલ ૧૩ કર્મચારી તથા ગ્રામ્ય વિસ્તાર માટે કુલ ૧૭૭ અધિકારી કર્મચારી ફાળવવા રાજ્ય સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે,  વાવાઝોડાની આપદા વખતે આપણે સૌએ સામૂહિક પ્રયાસોથી મોટી જાનહાનિ ટાળી છે. ૫ દિવસ સુધી કુદરતી આફત સામે ઝઝૂમી આપણે હજારો જીવન બચાવી શક્યા છીએ જે સરકારની પૂર્વ તૈયારીઓના લીધે શક્ય બન્યું છે.

કચ્છ જિલ્લામાં આર્થિક નુકશાન થયું છે, તેમાંથી પણ ઝડપથી આપણે બહાર આવીશું એવો વિશ્વાસ આરોગ્ય મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. વધુમાં,  આપદા સમયે જનજાગૃતિ માટે મીડિયાએ કરેલી કામગીરી બાબતે પણ આરોગ્ય મંત્રી શ્રીએ સૌને અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કચ્છના પ્રભારી મંત્રી શ્રી પ્રફૂલભાઈ પાનશેરિયા, કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, કચ્છ કલેકટર શ્રી અમિત અરોરા, નિવાસી અધિક કલેકટર શ્રી મિતેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.